રાજકોટ
News of Tuesday, 22nd September 2020

અડધો કલાક એક પડખે, અડધો કલાક બીજા પડખે...પછી ઉંધા સુવાનું: નવી એકસરસાઇઝ કોવિડના દર્દીઓ માટે ખુબ લાભદાયક

એનેસ્થેસિયા વિભાગના નોડલ ઓફિસર ડો. ચેતના જાડેજા જણાવે છે પ્રોન થેરાપીના ફાયદાઃ સિવિલ કોવિડમાં સમુહમાં અપાય છે આ થેરાપી

રાજકોટ તા. ૨૨ : કોરોના વાયરસ મુખ્યત્વે શ્વસનતંત્ર અસર કરે છે. સંક્રમીતોમાં ઓકસીજન લેવલ સતત ઘટતું જાય છે. કોરોના વાયરસથી સંક્રમિત ઘણા દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ જોવા મળી રહી છે. આ સ્થિતિ નિવારવા  માટે નિષ્ણાંત તબીબો દ્વારા અનેક પ્રયોગ સાથે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જેના સારા પરિણામો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. તેવા જ પ્રયોગના ભાગરૂપે શરૂ કરાયેલી પ્રોન થેરાપીથી આજે કોરોના સંક્રમિત ઘણા દર્દીઓને રાહત મળવાની સાથે તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-૧૯ના દર્દીઓને પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી સમૂહમાં એક સાથે પ્રોન થેરાપીથી સારવાર આપવામાં આવી રહી છે

પીડીયુ હોસ્પિટલમાં મેડીસન વિભાગમાં બે દાયકાથી સેવા આપી રહેલા એસોસિએટ પ્રો. આરતી ત્રિવેદી પ્રોન થેરાપી અંગે માહિતી આપતા કહે છે કે, કોવિડ-૧૯ના દર્દીઓની અડધો કલાક એક પડખે....અડધો કલાક બીજા પડખે.... અને ઉંધા સુવડાવવાની,  આ નાની એવી એકસરસાઈઝ  અને માત્ર પોઝિસન ચેન્જ કરવાથી કરવાથી ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. દર્દીઓના ઓકસીજન લેવાના સ્તરમાં ખાસ્સો સુધારો જોવા મળી રહ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં દર્દીઓનો ઘસારો વધાવાથી હવે, માસ પ્રોનિંગ એટલે કે દર્દીઓને એક સાથે સૂચના આપીને સારવાર આપવામાં આવી રહી છે. આ એક નવો પ્રયોગ છે જેના સારા પરિણામ પ્રાપ્ત થઇ રહ્યા છે.

એનેસ્થેસિયા બાબતના નોડલ ઓફિસર ડો. ચેતના જાડેજા પ્રોન થેરાપી વિશે વાત કરતા કહે છે કે, જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ, બેભાન હોય અને કૃત્રીમ શ્વાચ્છોશ્વાસ માટે નળી નાખેલી હોય અને શ્વાસ લેવાના કૃત્રિમ મશીન એટલે કે, વેન્ટીલેટર ઉપર હોય, તેવા પણ દર્દીઓને મેથોડિકલ પ્રોસેસ મુજબ ખૂબ કાળજી સાથે પ્રોન થેરાપી આપવામાં આવે છે. આ માટે પાંચ તજજ્ઞની ટીમ કાર્યરત હોય છે. તેમ તેમણે ઉમેર્યુ હતુ.

મેડીસીન વિભાગમાં ફરજ બજાવતા ડો. હર્ષેશ શાહ કહે છે કે, જે દર્દીઓને વધારે ઓકસીજન આપવાની જરૂરિયાત હતી તેવા દર્દીઓને પ્રોન થેરાપીથી સારવાર આપવાથી આશરે છેલ્લાં પાંચ દિવસમાં ૧૦૦ જેટલા દર્દીઓને રજા આપી શકયા છીએ. આમ, માસ પ્રોનિંગ થેરાપી આપવાથી દર્દીઓના સ્વાસ્થ્યમાં ઝડપભેર સુધારો થઈ રહ્યો છે. દર્દીઓ સીધા સુવાની જગ્યાએ બેઠા રહે, પડખાભેર સુવે, ઉંધા સુવે તો દર્દીઓના જે ફેંફસા જ ઝકડાય ગયા છે તે ઝડપથી ખૂલી જાય છે. આમ, જે દર્દીઓને ઘણા દિવસો સુધી ઓકસીજન આપવામાં આવે છે તેમાં નોંધપાત્ર થયેલો ઘટાડો જોઇ દર્દીઓ ઝડપથી સ્વસ્થ થવાનો આશાવાદ તેમણે વ્યકત કર્યો હતો.

(3:17 pm IST)