એક લગ્ન ચાલુ હોવા છતાં પતિએ બીજા લગ્ન કરી લીધાની યોગીતાબેન ગીણોયાની ફરિયાદ
હાલ રેલનગરમાં રહેતાં મહિલાએ કાલાવડના બામણગામે રહેતાં પતિ નિલેષ ગીણોયા, સાસુ, સસરા અને જેઠ વિરૂધ્ધ ફરિયાદ કરી
રાજકોટ તા. ૨૨: હાલ રેલનગરમાં રહેતાં પટેલ પરિણીતાએ કાલાવડના બામણ ગામમાં રહેતાં પતિ-સાસરિયા વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. તેમજ પોતાનું લગ્ન જીવન ચાલુ હોવા છતાં પતિએ બીજા લગ્ન કરી લીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.
મહિલા પોલીસે આ અંગે રેલનગર શિવાલીક ચોક મેપનવૂડન બ્લોક નં. ૧૬-બીમાં રહેતાં યોગીતાબેન નિલેષભાઇ ગીણોયા (પટેલ) (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી કાલાવડના બામણ ગામમાં બસ સ્ટેશન પાસે રહેતાંતેણીના પતિ નિલેષ જેન્તીભાઇ ગિણોયા, સાસુ ચંપાબેન, સસરા જેન્તીભાઇ ગીરધરભાઇ ગીણોયા તથા જેઠ અલ્પેશભાઇ જેન્તીભાઇ ગીણોયા સામે આઇપીસી ૪૯૮ (ક), ૪૯૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.
યોગીતાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે પતિ-સાસુ-સસરા અને જેઠે એકસંપક કરી લગ્ન જીવન દરમિયાન નાની-નાની વાતે મારકુટ કરી ગાળો દઇ ધમકી આપી ત્રાસ ગુજાર્યો હતો. હાલમાં તેનું લગ્નજીવન ચાલુ હોવા છતાં પતિએ બીજા લગ્ન કરી લીધા છે. આ અંગે પીઆઇ એસ. આર. પટેલની રાહબરીમાં એએઅસાઇ વી. જી. બોરીચાએ વિશેષ તપાસ હાથ ધરી છે.