છેતરપીંડી-વિશ્વાસઘાતની ફરીયાદમાં વડોદરાના વેપારીની જામીન અરજી રદ થતા જેલહવાલે
રાજકોટ, તા, રરઃ વડોદરાના વેપારીની જામીન અરજી રદ થતા જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.
વડોદરા શહેરમાં સાવલી રોડ પર આવેલ સનરાઇઝ બંગ્લોઝમાં રહેતા રૂષભભાઇ રજનીકાંત શાહ કે જેઓ વડોદરામાં બંન્ને પિતા પુત્રો આર.આર.ટ્રેડીંગના નામે કારેલીબાગમાં ધંધો કરે છે. જેઓ વિરૂધ્ધ રાજકોટ શહેરના ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદી નયનેશભાઇ રતીલાલ દાવડાએ છેતરપીંડી અને ગુન્હાહીત વિશ્વાસઘાત સમાન ગુન્હાની ફરીયાદ નોંધાવી રજુઆત કરેલ કે આરોપી રૂષભ તથા તેના પિતાશ્રી રજનીકાંતભાઇ ઉર્ફે રાજુભાઇ કાંતીલાલ શાહ દ્વારા પુર્વયોજીત કાવત્રુ રચી આ કામના ફરીયાદીની વેપાર પેઢી સાથે વ્યાપારીક સંબંધો કેળવી વિશ્વાસમાં લઇ રૂપીયા એક કરોડ કરતા વધુ રકમ ચુકવ્યા વગર અને અવાર નવાર ઉઘરાણી કરવા છતા વાયદા મુજબ રકમ ચુકવેલ નહી આ રીતે આ બંન્ને પિતા પુત્રોએ છેતરપીંડી અને ગુન્હાહીત વિશ્વાસઘાત સમાન ફોજદારી ફરીયાદ કરતા તપાસનીસ અધિકારીએ આરોપી રૂષભની ધરપકડ કરી પોલીસ સબ ઇન્સપેકટરશ્રી પી.બી.જેબલીયાએ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરતા અધિક ચીફ જયુડી. મેજી.શ્રી પી.કે.રાયે આરોપી વિરૂધ્ધ પ્રથમ દર્શનીય રિમાન્ડ અંગેનો કેસ જણાતા બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવેલ.
આરોપીના રિમાન્ડ પુરા થતા જેઓને અદાલત સમક્ષ રજુ કરવામાં આવેલ અને આરોપીએ અદાલત સમક્ષ જામીન અરજી કરેલી અને આરોપી તરફે આ સીવીલ તકરાર છે તેવી રજુઆત કરેલ જે કામમાં ફરીયાદીએ જામીન અરજીનો લેખીતમાં વિરોધ કરેલ અને આ બંન્ને પિતા પુત્રોએ ફરીયાદીની જેમ અન્ય વેપારીઓ સાથે પણ આ જ પ્રકારની ગુન્હાહીત પધ્ધતી દ્વારા તેઓએ છેતરપીંડી અને વિશ્વાસઘાત સમાન ગુન્હાહીત કૃત્ય આચરેલ છે. જે કેસના પોલીસ તપાસના કાગળો કાયદાકીય પરિસ્થિતિ તેમજ જામીનલાયક ગુન્હો હોવાનું અને માતબર રકમ લેણી નિકળે છે જે હકીકતોને લક્ષમાં લઇ રાજકોટના જયુડી. મેજી. શ્રી વાઘવાણી સાહેબે આરોપીની જામીન અરજી નામંજુર કરી જેલ હવાલે કરવાનો હુકમ કરેલ છે.
આ કામમાં મુળ ફરીયાદી વતી એડવોકેટ દરજ્જે રાજકોટના શ્રી લલીતસિંહ જે.શાહી, ભુવનેશ એલ.શાહી, કૃણાલ એલ.શાહી, સી.એમ.દક્ષિણી, હીતેષ ગોહેલ, મનીષ ગુરૃંગ, નિશાંત જોષી રોકાયેલા છે.