રાજકોટ
News of Thursday, 22nd August 2019

૧ લી સપ્ટેમ્બરના ઇસ્લામી નૂતન વર્ષ : મહોર્રમ માસને ૧૦ દિ' બાકી

૩૧મી ઓગષ્ટના સાંજે જ ચંદ્રોદય સાથે હિજરી ૧૪૪૧નો પ્રારંભ : કરબલાના શહિદોની સ્મૃતિ ફરી જીવંત થશે

રાજકોટ તા.૨૨ : આગામી તા.૧લી સપ્ટેમ્બરના રોજ ઇસ્લામી નૂતન વર્ષ અર્થાત હિજરી ૧૪૪૧નો પ્રારંભ થનાર છે.

હાલમાં ઇસ્લામી પંચાગનો હજજનો ૧૨મો મહિનો જીલ હજજ ચાલી રહ્યો છે જેના ૨૯માં દિવસે એટલે કે, તા.૩૧-૮-૧૯ના શનિવારે સાંજે ચંદ્રદર્શન થનાર હોઇ તા.૧-૯-૧૯ રવિવારે ૧લી મહોર્રમ થશે. બીજી તરફ હાલમાં હિજરી સંવત ૧૪૪૦ ચાલી રહી છે જે ૧ લી થી ૧૪૪૧માં પરિવર્તીત થઇ જશે. જેથી મહોર્રમ માસ ઇસ્લામી પંચાગનો પ્રથમ મહિનો છે.

જો કે ૧૨મો મહિનો જીલહજજમાં ઇદ ઉજવાઇ હતી. જે પર્વ પણ બલિદાન પ્રકટ કરે છે ત્યારે ઇસ્લામી ઇતિહાસમાં મહોર્રમ માસમાં પણ અનેક ઘટનાઓ અંકીત થઇ છે જે પૈકી ઇરાકના કરબલા શહેરમાં બનેલી ઘટના પણ બલિદાનની ભાવના પ્રકટ કરતી હોય ઈસ્લામી વર્ષની શરૂઆત અને અંત બંને બલિદાનની ભાવના ઉપર નિર્ભર રહ્યા છે.

તા.૧ થી મહોર્રમ માસ શરૂ થનાર હોય ત્યારે આ મહિનામાં ખાસ ઇસ્લામી ૧૦મી તારીખના દિને આશુરાહ પર્વ મનાવાશે જે આ વખતે તા.૧૦ મી સપ્ટેમ્બરના દિવસે રહેશે અને એ દિવસે મંગળવાર હશે.

ખાસ કરીને મુસ્લિમ વર્ષનો આ પ્રથમ મહીનો મહોર્રમ માસમાં તાજીયા બનાવવામાં આવે છે જેની કામગીરી છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે જે તાજીયા આગામી તા.૧૦-૯-૧૯ મંગળના દિવસે ફરનાર છે જે ૧૦ મી મહોર્રમનો દિવસ હશે આ દિવસને આશૂરા કહેવામાં આવે છે. આ પૂર્વે તા.૯-૯-૧૯ સોમવારના તમામ તાજીયાઓ મેદાનમાં આવી જશે.

ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક અને અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના દોહીત્ર હઝરત ઇમામ હુશેનએ સત્યતાની કાજે ઇરાકના રેતાળ પ્રદેશ કરબલાના તપતા મેદાનમાં યુધ્ધ ખેલી પોતાના ૭૨ પરિવારજનો અને સાથીદારો સાથે ભવ્ય શહિદી પામી ઇતિહાસના પાને અમર થઇ જતા આ ભવ્ય બલિદાનની ગાથાની સ્મૃતિમાં દર વર્ષે મહોર્રમ માસમાં તાજીયા બનાવવામાં આવે છે.

આ તાજીયામાં અનેક પ્રકારની કલાત્મકતા દર્શાવવામાં આવે છે અને તેમા વિવિધ સજાવટો કરવામાં આવે છે અને તેનો આશૂરાના દિવસે જાહેરમાં હિન્દુ મુસ્લિમો એક સાથે દર્શન કરવા ઉમટી પડતા હોઇ ભાઇચારાની ભાવના એ સમયે મહેકી ઉઠે છે.

જેમાં પણ કેટલાક સ્થળે દર વર્ષે સંપુર્ણ નવા તાજીયા બનાવાય છે અને કેટલાક સ્થળે જૂના તાજીયા જે ઇમામખાનમાં રાખવામાં આવે છે તેને નવો ઓપ નવી સજાવટ અપાઇ છે. આમ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ગામેગામ તાજીયા બનાવવાની કામગીરી દરરોજ રાત્રે વધી જવા પામી છે.

આ ઉપરાંત મહોર્રમ માસમાં આજથી ૧૩૮૦ વર્ષ પહેલા કરબલા ખાતે બનેલી આ કરૂણગાથાના માનમાં દરરોજ રાતે લતે લતે ખાસ કરીને હુસેની મહેફીલો યોજાય છે. સબીલો રચવામાં આવે છે અને તેના દ્વારા વિના ભેદભાવે શરબત, પાણી, ચા વગેરે વિતરણ કરવામાં આવે છે. જયારે દરરોજ જાહેર નિયાઝના કાર્યક્રમો પણ વિના ભેદભાવે યોજાય છે આ અંગેના આયોજનોને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

આ માટે લતે લતે વિવિધ કમિટીઓ કાર્યરત થઇ ગઇ છે. સેંકડો તાજીયા બની રહ્યા છે અને રોશની પણ ગોઠવાઇ રહી છે.

મહોર્રમ માસમાં લતેલતે હુસેની મહેફીલો યોજાય છે તે આગામી તા.૩૧-૮-૧૯ની રાત્રીથી જ શરૂ થઇ જશે. જેના આયોજનને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

આમ ખાસ કરીને ૧ લી સપ્ટેમ્બરથી જ ૧ લી મહોર્રમ ગણવામાં આવનાર છે. અંગ્રેજી કેલેન્ડરના ૯માં મહિનાના પ્રારંભ સાથે ઇસ્લામી પંચાગનો પ્રથમ મહિનો મહોર્રમ શરૂ થશે અને ૧૦ મી સપ્ટેમ્બરના ૧૦મી મહોર્રમ મનાવાશે.

યાદ રહે કે, તા. ૩૧ ઓગષ્ટના શનિવારે ૨૯મી જિલહજજના સાંજે ઇસ્લામી નૂતન વર્ષનો ચંદ્રોદય થશે. જે હિસાબે આસૂરા મંગળવારે રહેશે અને આમ મહોર્રમ મહિનો શરૂ થવાને હવે માત્ર ૧૦ દિવસ બાકી રહ્યા છે.

રાજકોટમાં જૂદા જૂદા વિસ્તારોમાં તાજીયાઓ, ડોલીઓ અને દુલદુલ બનાવતા લોકો

જેમાં લક્ષ્મીનગર -૧, નુરાનીપરા રૈયા રોડ ૧, નહેરૂનગર ૧ બજરંગવાડી - ૧, પોપટપરા - ર, સદર ખાટકી જમાત-૧, તુલારામ રત્નારામ ધોબીનો ૧, પેન્ટર આરીફ નં.૧, મુસ્લિમ લાઇન, બાબરીયા કોલોની, જંગલેશ્વરના ૫૪ તાજીયા જે જંગલેશ્વરમાં જ રહે છે. લાઇન દોરીમાં ફરતા નથી. હૈદરી ચોક ભગવતી સોસાયટી તથા હાઉસીંગ કવાર્ટસ, ગંજીવાડા, માજોઠીનગર મળી કુલ ૧૪ અને ૧૦ ડોલી મોટા પીર છીલ્લા અને ચામડીયા ખાટકીવાસ મળીને ર સોનીબજાર ૧, સીપાહી જમાત - ર ઘાંચીવાડ ૧, કોઠારીયા કોલોની ૧, ઢેબર કોલોની-૧, લક્ષ્મીનગર ૧, બાવાગોર ૧, જિલ્લાવાળી શેરી ૧, રામનાથપરા, મફતીયા ઓડવાડ, નવયુગપરા, રામનાથપરા પોલીસ લાઇન, કુંભારવાડા-૧, મનહરપરા-૧, ફાયરબ્રિગેડ, રાજમોતી મીલપાસે, મફતીયાપરા ર, જિલ્લા ગાર્ડન ૧, આમ કુલ અંદાજીત ૧૪૬ તાજીયાઓ રાજકોટ શહેરમાં બની રહ્યા છે.

કોઠારીયા સોલવન્ટ ૩ તાજીયા, રસુલપરા મુહમદીબાગ ખ્વાજા ગરીબ નવાઝ સોસાયટી, નુરાનીપરા બધા મળીને ૩ તાજીયા, એસટી વર્ક શોપ, ખોડીયારનગર-૧ સદરને લગતા કુલ ૧૩ તાજીયા છે.

કુલ ૪ દુલદુલ બને છે. રાજકોટ શહેર તાજીયામાં રૂટમાં લાઇન દોરી-ર થાય છે. ૧) પેલેસ રોડના નાના મોટા તાજીયા- ૪૭ (ર) સોનીબજાર નાના મોટા તાજીયા ૩૧ (૩) સદર વિસ્તારના નાના મોટા તાજીયા - ૧૪ (૪) જંગલેશ્વર વિસ્તારના તાજીયા ૫૪ છે.

(3:41 pm IST)