રાજકોટ
News of Wednesday, 22nd August 2018

૧૩ કરોડના બારદાનની ખરીદીમાં ગોલમાલ?: વધુ પાંચની ધરપકડ

બારદાન કોૈભાંડના અમદાવાદથી ગુજકોટના અધિકારીઓ-કર્મચારીઓને રાજકોટ બોલાવી પુછતાછઃ મગન ઝાલાવડીયા રિમાન્ડ પરઃ બારદાનમાં આગ લાગી પછી મગન અને મળતીયાઓએ જેવું કોૈભાંડ કર્યુ એવું ૧૩ કરોડના ૧૩૨ ટ્રક બારદાન મંગાવ્યા તે વખતે પણ કર્યાની શંકા પરથી તપાસઃ કોૈભાંડમાં સામેલ વધુ પાંચ આરોપીઓ મનસુખ પટેલ, કાનજી ઢોલરીયા, નિરજ ગજેરા, પરેશ સંખાવરા, કાળુ ઝાપડાની બી-ડિવીઝન પોલીસે કરી ધરપકડ

રાજકોટ તા. ૨૦: સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનારા મગફળી કોૈભાંડના મુખ્ય સુત્રધાર સોૈરાષ્ટ્ર ગુજકોટના મેનેજર પડધરીના તરઘડીયા ગામના મગન નાનજીભાઇ ઝાલાવડીયા (ઉ.વ.૫૫)ની રાજકોટ યાર્ડના બારદાન કોૈભાંડમાં ધરપકડ થતાં અને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેના ૧૦ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. તે સાથે પોલીસે તપાસ આગળ ધપાવી છે. આગ લાગી એ પહેલા એટલે કે ફેબ્રુઆરીમાં ખેડુતોની પાક પેદાશ ભરવા માટે કોલકત્તાથી કુલ ૧૩ કરોડના ૧૩૨ ટ્રક ભરીને બારદાન મંગાવાયા હતાં. પોલીસ હવે એ તપાસ પણ કરશે કે ખરેખર આટલા બારદાન આવ્યા હતાં કે કેમ? કે પછી તેમાં પણ મગન આણી મંડળીએ કોઇ ગોલમાલ કરી છે? આ ઉપરાંત અમદાવાદથી ગુજકોટના અધિકારીઓ, કર્મચારીઓને પણ રાજકોટ બોલાવી પુછતાછ કરી નિવેદનો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ કોૈભાંડમાં સામેલ વધુ પાંચ આરોપીઓની આજે ધરપકડ કરી લેવામાં આવી છે. 

 જુના માર્કેટ યાર્ડમાંથી   બારદાન બઠ્ઠાવી જવાના કારસ્તાનમાં પણ નામ ખુલતાં બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તેનો જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવી મગનની વધીવત ધરપકડ કરી ગઇકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેના ૧૦ દિવસના રિમાન્ડ મંજુર થયા છે.  ઉચ્ચ અધિકારીઓની રાહબરી હેઠળ મગનની વિસ્તૃત પુછતાછ થતાં તેણે ૩૦ હજાર બારદાન બારોબાર વેંચી નાંખ્યાની કબુલાત આપી દીધી હતી. કોૈભાંડના મુળ સુધી પહોંચવા માટે પોલીસે તપાસ આગળ વધારી છે.

બી-ડિવીઝન પોલીસે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મનસુખ ભીખાભાઇ ઉર્ફ બાબુભાઇ જેઠાભાઇ લીંબાસીયા (ઉ.૫૧-રહે. તરઘડી), કાનજી દેવજીભાઇ ઢોલરીયા (ઉ.૪૬-રહે. આર્યનગર-૧૭ શાળા નં. ૭૨ પાસે, મુળ ડેરોઇ તા. રાજકોટ), નિરજ મનસુખભાઇ ગજેરા (ઉ.૨૬-રહે. આસ્થા સાલિગ્રા બ્લોક નં. ૧૨૭, અવચર મેંદપરાના મકાનમાં માધાપર-રાજકોટ), પરેશ હંસરાજભાઇ સંખાવરા (ઉ.૩૬-રહે. મોરબી રોડ અર્જુન પાર્ક, મુળ તરઘડી) તથા કાળુ બાબુભાઇ ઝાપડા (ઉ.૩૫-રહે. તરઘડી તા. પડધરી)ની ધરપકડ કરવામાં આવી છે.

મગફળી કોૈભાંડની તપાસમાં રાજકોટના જુના માર્કેટ યાર્ડમાં બારદાનમાં લાગેલી આગનો પણ મગન ઝાલાવડીયા અને ગુજકોટના મેનેજર મનોજે લાભ ઉઠાવી લીધાનું અને આગમાંથી બચેલા પૈકીના રૂ. ૧૫ લાખ ૮૦ હજારના કુલ ૩૦ હજાર ૮૦૦ નંગ બારદાન બારોબાર વેંચી નાંખી રોકડા કરી લીધાનું ખુલતાં આ મામલે ગોંડલના સર્કલ પી.આઇ. ફરિયાદ પરથી રાજકોટ બી-ડિવીઝન પોલીસે મગન સહિત ૮ સામે ગુનો દાખલ થયો હતો.

બી-ડિવીઝન પોલીસ મથકમાં આ મામલે ગુનો નોંધાયો છે. જુના માર્કેટ યાર્ડમાં ગત માર્ચ મહિનામાં ભિષણ આગ ભભૂકતાં૧૩ કરોડ ૮૨ લાખ ૬૮ હજાર ૫૨૫ની કિંમતા ૧૯,૩૯,૨૫૦ નંગ બારદાન ખાક થઇ ગયા હતાં. જ્યારે ૫,૨૬,૯૦૦ નંગ બારદાન બચી ગયા હતાં. બચી ગયેલા પૈકીના રૂ. ૧૫,૮૦,૦૦૦ના બારદાનનું મગન સહિતની ટોળકીએ બારોબાર વેંચાણ કરી નાંખી ઠગાઇ કરી તેમજ સરકારી રેકર્ડ સાથે ચેડા કરી પુરાવાનો નાશ કર્યાનું ખુલતાં ચકચાર મચી ગઇ હતી.

આ મામલે ગોંડલ ડિવીઝનના સર્કલ પોલીસ ઇન્સ્પેકટર વી.આર. વાણીયાએ ફરિયાદી બની રાજકોટ બી-ડિવીઝનમાં આઇપીસી ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦-બી, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૨૦૧, ૪૨૪ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. જેમાં આરોપી તરીકે તરઘડીયાના મગન નાનજીભાઇ ઝાલાવડીયા, મનોજ (અમદાવાદ ગુજકોટના મેનેજર-રહે. અમદાવાદ), તરઘડીયાના મનસુખ બાબુભાઇ લીંબાસીયા, તરઘડીયાના કાનજી દેવજીભાઇ ઢોલરીયા, તથા અમદાવાદના નિરજ, પરેશ હંસરાજભાઇ સંખારવા, મહેશ પ્રધાનભાઇ ભાનુશાળી, અરવિંદ પરાજભાઇ ઠક્કરના આરોપી તરીકે નામ ખુલ્યા હોઇ મગન સિવાયના આ તમામ આરોપીઓની પણ ગમે ત્યારે ધરપકડ થવાના અણસાર છે.

 પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા તથા એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં ચાર ટીમો તપાસ કરી રહી છે. જેમાં એસઓજી, ક્રાઇમ બ્રાંચ અને બી-ડિવીઝનનો સ્ટાફ સામેલ છે.  બી-ડિવીઝન પી.આઇ. આર. એસ. ઠાકર,  જગેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, પીએસઆઇ ડામોર, મહેશગીરી ગોસ્વામી, વિરમભાઇ ધગલ, હિતુભા ઝાલા, એભલભાઇ બરાલીયા, અજીતભાઇ લોખીલ સહિતની ટીમ પણ સામેલ છે. પોલીસ એક પછી એક પુરાવા એકઠા કહી બીજા આરોપીઓની ધરપકડ કરશે તેમ જાણવા મળે છે. મગને બે ટ્રક ભરીને કોથળા (બારદાન) બારોબાર મોકલી દીધા હતાં તે અંગેના રજીસ્ટરમાં પણ પાના ફાડી નાંખી અલગ નવી નોંધ કરાવી હતી. આ રજીસ્ટર કબ્જે લેવા સહિતની કાર્યવાહી પણ હાથ ધરાઇ છે. તેમજ ફેબ્રુઆરીમાં ૧૩ કરોડથી વધુનો બારદાનનો જથ્થો મંગાવાયો હતો. આ જથ્થો ખરેખર એટલો જ આવ્યો હતો કે તેમાં પણ કોૈભાંડ આચરાયું હતું? તે સહિતના મુદ્દે પણ તપાસ થઇ રહી છે. (૧૪.૮)

વધુ પાંચ પકડાયા તેમાં મનસુખ પટેલ મગનના ફઇનો દિકરોઃ તેણે બારદાન વેંચવા માટે વેપારીઓ શોધ્યા'તા

કાનજી પટેલે બે ટ્રક સરધાર-ત્રંબાની વાડીએ ઉતારવાનું કામ કર્યુ'તું: નિરજ ગજેરાએ બિલ્ટી બનાવવામાં ગોલમાલ કરી'તીઃ પરેશ સંખાવરાએ રજીસ્ટરમાં ખોટી એન્ટ્રીઓ કરાવી અને કાળુ ઝાપડાએ પોતાની ટ્રકો ભાડે આપી'તી

. પોલીસે વધુ પાંચ આરોપીઓ પકડ્યા છે તેમાં કોણે શું રોલ ભજવ્યો તેની વિગતો જોઇએ તો મનસુખ લીંબાસીયા મગન ઝાલાવડીયાના કોૈટુંબીક ફઇનો દિકરો થાય છે. તેણે બારદાન મગનના તરઘડીના પનામ એગ્રોટેકમાં મોકલી ત્યાંથી કોને કોને વેંચવા એ માટે વેપારીઓ શોધવાનું કામ કર્યુ હતું. સસ્તા ભાવના બારદાન હોવાનું વેપારીઓને પ્રલોભન આપ્યું હતું.

. કાનજી ઢોલરીયા મગનના સગા થાય છે અને તેનો નજીકનો માણસ ગણાય છે. આર્થિક લાભ ભાટે તેણે કાળુ ઝાપડાની બે ટ્રક ભાડે કરી બે ટ્રકની બિલ્ટી ગોંડલના ગોડાઉનની બનાવી હતી અને ત્યાં આ ટ્રક મોકલવાને બદલે ત્રંબા તથા સરધાર ખાતે ઓળખાતાઓની વાડીમાં ઉતારી લઇ મગન અને મનસુખ સાથે કાવત્રામાં ભાગ ભજવ્યો હતો.

.નિરજ ગજેરાનું કામ બારદાનના ટ્રકની એન્ટ્રીઓ પાડવાનું હતું. બચી ગયેલા બારદાનના બે ટ્રક જે તે ગોડાઉનમાં મોકલવાની બિલ્ટી બની ગયા બાદ તેના પાના ફાડી નંખાયા પછી નવી એન્ટ્રીઓ પાડી રજીસ્ટરોમાં ખોટી નોંધ કરી ગુનામાં ભાગ ભજવ્યો હતો.

.પરેશ સંખાવરા મગન ઝાલાવડીયાનો અંગત માણસ છે. તે જુના માર્કે૭ યાર્ડમાં મેનેજર પણ હતો અને બારદાનને લગતું તમામ કામ તે સંભાળતો હતો. તેણે નિરજ સાથે મળી રજીસ્ટરોમાં ખોટી એન્ટ્રીનું કામ કર્યુ હતું.

.કાળુ ઝાપડા બધુ જાણતો હોવા છતાં આર્થિક લાભ માટે પોતાના ટ્રકોમાં બારદાન ભરી સરકારી બારદાન હોવા છતં જે જગ્યાની બિલ્ટી હતી તેને બદલે બીજી જગ્યાએ બારદાન ઉતારી આવ્યો હતો અને સસ્તામાં બારદાન વેંચવાના છે તેવી વાત પણ વેપારીઓ સુધી પહોંચાડી હતી. (૧૪.૮)

(3:56 pm IST)