મવડીની સોમનાથ સોસાયટીમાં પત્નિના વિયોગમાં વિઠ્ઠલભાઈ ભુવાનો આપઘાત
પટેલ પ્રૌઢે ગળાફાંસો ખાઈ લેતા અરેરાટીઃ બે પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવી
રાજકોટ, તા. ૨૨ :. મવડી ચોકડી પાસે આવેલ સોમનાથ સોસાયટીમાં પત્નિના વિયોગમાં પટેલ પ્રૌઢે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી વિગતો મુજબ મવડી ચોકડી પાસે સોમનાથ સોસાયટી શેરી નં. ૫મા રહેતા વિઠ્ઠલભાઈ ટપુભાઈ ભુવા (ઉ.વ. ૫૪) એ પોતાના ઘરે છતના હુકમા દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ કરતા ૧૦૮ના તબીબે તપાસ કરતા પટેલ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદ પોલીસ કંટ્રોલ ઈન્ચાર્જે જાણ કરતા તાલુકા પોલીસ મથકના એએસઆઈ જલદીપસિંહ વાઘેલાએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક વિઠ્ઠલભાઈ સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. ૪ મહિના પહેલા પત્નિનું બિમારી સબબ મૃત્યુ થયુ હતું. તેથી તેના વિયોગમાં પટેલ પ્રૌઢે આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યુ હતુ. બે પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવતા પટેલ પરિવારમાં શોક વ્યાપી ગયો છે.