રાજકોટ
News of Friday, 22nd June 2018

રવિવારે ૧૪મો સ્કીલ એવોર્ડ સેરેમનીઃ ૧૦૦ ક્ષત્રીય પ્રતિભાનું થશે સન્માન

મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાનનું આયોજનઃ શંકરસિંહજી વાઘેલા, ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિઃ ક્ષત્રિય શહિદ વિરોની શહાદતનું સવિશેષ સન્માન થશે

રાજકોટ, તા. ૨૨ :. મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન-રાજકોટ દ્વારા આયોજીત તા. ૨૪ જૂન, ૨૦૧૮, રવિવારે બપોરે ૨.૩૦ કલાકે હેમુ ગઢવી નાટયગૃહ ખાતે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલાના પ્રમુખ સ્થાને ગુજરાતભરના 'ક્ષત્રિય સ્કીલ'ને સન્માનવાનો ભવ્ય કાર્યક્રમ '૧૪મો સ્કીલ એવોર્ડ સેરેમની-૨૦૧૮' વિશાળ ક્ષત્રિય સમુદાયની ઉપસ્થિતિમાં  ઉજવાશે. આ કાર્યક્રમમાં આઝાદી પછી એટલે કે, ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ પછીથી અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યના જે ક્ષત્રિયો ચીન, પાકિસ્તાન સાથેના ૧૯૬૫, ૧૯૭૧ તેમજ કારગિલ યુદ્ધમાં શહિદ થયા છે તે સર્વ મહાન શહિદોને આ કાર્યક્રમમાં વિરાંજલી અર્પવામાં આવશે અને એમના શૌર્યને સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને પરિવાર સાથે પધારવાનું સંસ્થાનના પ્રમુખશ્રી ડો. યોગરાજસિંહ ગંભીરસિંહજી જાડેજા (જાબીડા)એ નિમંત્રણ પાઠવ્યુ છે.

કાર્યક્રમમાં ચારણ સંતશ્રી પાલુભગતજીના આશિર્વચન પ્રાપ્ત થશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષશ્રીઓ તરીકે કેબીનેટ શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, ધારાસભ્યશ્રી વીરેન્દ્રસિંહજી જાડેજા (કચ્છ), ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા (કચ્છ), નાયબ સચિવશ્રી અશોકસિંજી પરમાર-ગાંધીનગર તથા શ્રી બ્રિગેડિયર અજીતસિંહજી શેખાવત (કમાન્ડરશ્રી, રાજકોટ એન.સી.સી. ગ્રુપ હેડ કવાર્ટર) વિશેષ ઉપસ્થિત રહેશે.

એજ્યુકેશન ફિલ્ડ સિવાયના તમામ ક્ષેત્રો જેમ કે, રાષ્ટ્રપતિ ચંદ્રક, સ્પોર્ટસમાં નેશનલ તેમજ ઈન્ટરનેશનલ લેવલે રમેલા ખેલાડીઓ, એન.સી.સી. 'સી' સર્ટીફીકેટમાં (એ ગ્રેડ, બી ગ્રેડ) બ્રેવરી એવોર્ડ, શ્રેષ્ઠ વ્યાપાર તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે, શિલ્પકલા ક્ષેત્રે, ચિત્રકલા ક્ષેત્રે ખાનગી-સરકારી નોકરી/સેવા દરમિયાન મેળવેલ સિદ્ધિ કે અન્ય ફિલ્ડમાં નેશનલ તેમજ ઈન્ટરનેશનલ લેવલે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સમાજને ગૌરવ અપાવનાર ભાઈઓ-બહેનોને સન્માનિત કરવામાં આવશે. '૧૪મો સ્કીલ એવોર્ડ સેરેમની-૨૦૧૮'માં કુલ ૧૦૦ ક્ષત્રિય સ્કીલ'ને સન્માનવામાં આવશે. જેઓ અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું સ્કીલ બતાવ્યું છે અને ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યુ છે.

આ વર્ષના કાર્યક્રમમાં વિશેષ એ વિરોની શહાદતને ભવ્ય સ્મૃતિ રૂપે એ શૂરવીરોના પરિવારોને સન્માનીત કરવામાં આવશે કે જેમને ભારતમાતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યુ છે. જેમાના ૧૯૬૫ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિરગતિને વરેલા નાયબ સુબેદાર મહોબતસિંહજી અલીયાજી જાડેજા, ૧૯૭૧ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં શૌર્ય પરાક્રમથી માં ભારતીને પ્રાણોનું સમર્પણ કરનાર વનરાજસિંહજી ઝાલા, કેપ્ટન કલ્યાણસિંહજી રાઠોડ તેમજ કારગિલ યુદ્ધમાં ઓપરેશન વિજયમાં શહિદ થનાર અશોકસિંહજી જાડેજા જેવા સર્વ શહિદોની શહાદતને નમન કરવામાં આવશે. તેમજ પોલીસ ડીપાર્ટમેન્ટમાં ઐતિહાસિક નામ અમર કરી શહિદ થનાર પીએસઆઈ શ્રી એમ.ટી. રાણા સાહેબ (અમદાવાદ ખાતે કોમી હુલ્લડમાં ભંડેરી પોળના અનેકો પરિવારને વિરતાપૂર્વક બચાવનાર)ની શહાદતને પણ વિશેષ સન્માનવામાં આવશે. આ અતિ ભવ્ય વિશિષ્ટ કાર્યક્રમમાં સર્વે ક્ષત્રિય સમાજ પરિવાર સહિત સમયસર પધારવા સંસ્થાન દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યુ છે.

સંસ્થાનના આ કાર્યક્રમને સફળ બનાવવા સહસંસ્થાન સ્વ. ગંભીરસિંહજી જીલુભા જાડેજા (જાબીડા) સ્મૃતિ ટ્રસ્ટ, રાજકોટ તથા સ્વ. રવિરાજસિંહ પ્રવિણસિંહજી જાડેજા (ધ્રાફા) સ્મૃતિ ગ્રુપનો સહયોગ રહે છે.

કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાન પ્રમુખ ડો. યોગરાજસિંહ જી. જાડેજા (જાબીડા), ડો. દિગ્વીજયસિંહ બી. જાડેજા (મંજલ), ભૂપેન્દ્રસિંહ એમ. વાઘેલા (બંધીયા),  રાજેન્દ્રસિંહ જે. ઝાલા (રતનપર), હરપાલસિંહ કે. જાડેજા (માણેકવાડા),  દિલીપસિંહ આર. ગોહીલ (પચ્છેગામ), કુલદિપસિંહ એન. રાઠોડ (ઈડર), બકુલસિંહ જી. જાડેજા (મોટી વાવડી), ભરતસિંહ આર. રાણા (અડવાળ), પ્રવીણસિંહ એમ. જાડેજા (સમાઘોઘા), સત્યપાલસિંહ પી. જાડેજા (મોટી-વાવડી),  ધર્મરાજસિંહ જે. વાઘેલા (છબાસર), ધર્મવીરસિંહ આર. જાડેજા (જીલરીયા), રાજેન્દ્રસિંહ આર. જાડેજા (પીપરડી), નરેન્દ્રસિંહ આર. રાણા (ભરાડા),  યોગરાજસિંહ એમ. જાડેજા (વાવડી),  સંજયસિંહ જી. રાણા (ભડવાણા),  નરેન્દ્રસિંહ જે. જાડેજા (સણોસરા), નવલસિંહ એ. જાડેજા (ભાણવડ),  અનિરૂદ્ધસિંહ બી. રાણા (અચારડા),  ઈન્દ્રજીતસિંહ એમ. જાડેજા (મોટી મેંગણી),  ક્રિપાલસિંહ બી. રાણા (સદાદ),  પૃથ્વીરાજસિંહ જી. જેઠવા (મોરાણા),  શકિતસિંહ આર. વાઘેલા (ભાડેર),  દિગ્વીજયસિંહ એન. વાઘેલા (ધીંગડા),  રાજદીપસિંહ એલ. જાડેજા (વડાળી) સહિતના સર્વે કારોબારી સભ્યશ્રીઓ  ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.(૨-૧૨)

(4:22 pm IST)