રાજકોટ
News of Friday, 22nd June 2018

ભાટીયા બોર્ડીંગમાં રવિવારથી યમુનાજી અષ્ટપદી સત્સંગ સત્ર

ગ્વાલીયરવાળા શાસ્ત્રીજી સતીષકુમારજી શર્મા બિરાજી શ્રી યમુનાષ્ટક પદીનું રસપાન કરાવશે : જે. પી. પારેખ પરિવાર દ્વારા આયોજન : પાંચ દિવસ સાંજે વિશેષ સત્સંગ : કેશરીયા કિર્તનીયા મંડળી હવેલી સંગીત વધાઇ કિર્તનની રમઝટ બોલાવશે : લોટીજી અને માળા પહેરામણીનો મનોરથ થશે

રાજકોટ તા. ૨૨ : યમુનાજી અષ્ટપદી સત્સંગ સમિતિના ઉપક્રમે જે. પી. પારેખ પરિવાર યોજીત મનોરથ અંતર્ગત પ્રથમવાર પુષ્ટી સંપ્રદાયની સેવા પ્રણાણીને ભોગ અને શ્રૃંગારની કલા પ્રદાન કરનાર શ્રીમદ્દ પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી (શ્રી ગુંસાઇજી) કૃત શ્રી યમુનાજી અષ્ટપદી સત્સંગ સત્રનું આયોજન કરાયુ છે.

આ અંગે સત્સંગ સમિતિના આગેવાનોએ આયોજનની વિગતો વર્ણવતા જણાવ્યુ હતુ કે તા. ૨૪ ના રવિવારે બપોરે ૩.૩૦ વાગ્યે જંકશન રેલ્વે સામે આવેલ ભાટીયા બોર્ડીંગ ખાતે વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રી (પૂ.શ્રી ગટુબાપાના હસ્તે દીપપ્રાગટયવિધિ કરાશે.

ગ્વાલીયરના પરમ વિદ્દ એવા શ્રી સતીષકુમારજી શર્મા વ્યાસપીઠ પર બીરાજી શ્રી ગુંસાઇજી કૃત ગ્રંથ 'શ્રી યમુનાષ્ટક પદી' નું ભાવવાહી શૈલીમાં રસપાન કરાવશે.

તા. ૨૪ ના રવિવારથી તા. ૨૮ ના ગુરૂવાર સુધી ચાલનાર પંચ દિવસીય સત્સંગ સત્રમાં નિત્ય બપોરે ૩.૩૦ થી સાંજે ૭.૩૦ કથા શ્રવણ ઉપરાંત રોજ સાંજે ભાટીયા બોર્ડીંગમાં ઉભા કરાયેલ મંડપ પંડાલમાં શ્રી યમુનાજીના નિત્યનુતન મનોરથોના દર્શન કરાવશે. રોજે રોજના સત્સંગમાં વૈષ્ણવાચાર્યો પધરામણી કરી વચનામૃતનો લાભ આપશે.

તા. ૨૯ ના કથાનું સમાપન થશે. પારેખ પરિવારના ઉપક્રમે તેમના પિતાશ્રી ગો.વા. જે. પી. પારેખ તેમજ જયેષ્યભ્રાતા ગો.વા. પ્ર.ભ. પ્રવિણભાઇ પારેખની માળા પહેરામણી ઉપક્રમે શ્રી યમુનાજીના લોટી ઉત્સવ સાથે કેશરીયા કિર્તનીયા મંડળી દ્વારા હવેલી સંગીત વધાઇ કિર્તન અને રાસ સહિતના કાર્યક્રમો યોજાશે.રવિવારે બપોરે ૩ વાગ્યે ભાટીયા બોર્ડીંગથી નિકળનાર પોથીયાત્રામાં ભાવિક ભકતોએ જોડાવા પારેખ પરિવારના ભરતભાઇ પારેખ (મો.૯૯૨૪૨ ૨૫૫૨૨) અને પ્રતિકભાઇ પારેખ (મો.૯૮૨૪૫ ૫૨૨૫૫) દ્વારા અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં કથા આયોજનની વિગતો વર્ણવતા યમુનાજી અષ્ટપદી સત્સંગ સમિતિના દિલીપભાઇ રાણપરા, હરેશભાઇ પારેખ, ભરતભાઇ પારેખ, પ્રતિકભાઇ પારેખ નજરે પડે છે. તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૪)

 

(4:19 pm IST)