રાજકોટ
News of Friday, 22nd June 2018

જીઈબી સામે લડત ચલાવતા કોન્ટ્રાકટરો-મેનેજમેન્ટ વચ્ચે સમાધાનઃ લેબર તથા 'SOR' અંગે હકારાત્મક ખાત્રી

આજથી ફરી કામે ચડી ગયાઃ અધિકારીઓને રીક્ષામાં ઓફિસે આવુ પડતું હોય 'રેલો' આવતા ધડાધડ માંગ સ્વીકારાઈ

રાજકોટ, તા. ૨૨ :. પીજીવીસીએલ દ્વારા છેલ્લા ૫ વર્ષથી કોન્ટ્રાકટરોને કોઈપણ ચાર્જ કે કોન્ટ્રાકટ અંગે ભાવો નહી વધારી દેતા ૧૮મીથી રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ૮૫૦ થી વધુ કોન્ટ્રાકટરો હડતાલ ઉપર ઉતરી ગયા હતા, આજે સતત પાંચમાં દિવસે પણ હડતાલ ચાલુ રહેતા અને ચોમાસું માથે હોય કામો બંધ થઇ જતાં તંત્રમાં દોડધામ થઇ પડી હતી, અધિકારીઓ, ઇંજનેરો પણ મુંઝવણમાં મુકાઇ ગયા હતા.

દરમિયાન આજે કોન્ટ્રાકટરો અને ચીફ ઇંજનેરો શ્રી ગાંધી, શ્રી કોઠારી વચ્ચે લગભગ બે કલાક મંત્રણા થઇ હતી અને તેમાં લેબર અને એસઓઆર અંગે સહાનુભુતિપુર્વક વિચારવાની અને હકારાત્મક ખાત્રી આપતા આંદોલનનો અંત આવી ગયો છે, હડતાલ પુરી થઇ છે.કોન્ટ્રાકટરોએ એસઓઆર જે ૧૦ ટકા વધારાયો તે અપુરતો હોવાની અને રાજસ્થાન-ગોધરામાં ઇલે. લાઇનનું કામ વધી ગયું હોય ત્યાં લેબર મોંઘી થયાનું, વ્હીકલો તથા અન્ય ગાડીઓ માટે ડ્રાઇવર-મેનપાવર પણ મોંઘા થયાનું, સ્પેરપાર્ટસ, ટાયર-ટયુબ વિગેરેમાં ભાવ વધારો થયાની બાબત હોય ચાર્જ વધારી આપવા માંગણી કરાઇ હતી, જે અંગે બંને ચીફ ઇંજનેરોએ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી હકારાત્મક નિર્ણય લેવાની ખાત્રી આપતા આંદોલન સમેટાઇ ગયું છે, અત્રે એ નોંધનીય છે કે, ખાસ કરીને આ હડતાલથી અમુક હાઇલેવલ ઇંજનેરોને રીક્ષામાં આવ-જા કરવાનો વારો આવ્યો હતો, અને આ રેલો આવતાં જ ધડાધડ માંગ સ્વીકારી-હડતાલ સમેટાઇ જાય તેવા પ્રયાસો કરાયા હતા.

(4:13 pm IST)