રાજકોટ
News of Friday, 22nd June 2018

રાજકોટમાં કુદરતી હાજતે ગયેલ સગીરા ઉપર બળાત્કાર ગુજારી ગર્ભવતિ બનાવવા અંગે આરોપીને ૧૦ વર્ષની સજા

સગીરાની સંમતિ ન હોય ત્યારે સ્પષ્ટ પણે ગુનો સાબીત થાય છેઃ અદાલત

રાજકોટ, તા.૨૨: રાજકોટના એડીશ્નલ જજશ્રી એમ.એમ. બાબી ૧૬ વર્ષની સગીર કન્યા ઉપર કુદરતી હાજતે ગયેલ હતી ત્યારે અવાવરૂ જગ્યાએ બળાત્કાર ગુજારનાર આરોપી રવિ રાણાભાઇ ધામેચા, ઉ.વ.૨૫ વર્ષ વાળાને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. ૧૫,૦૦૦/- નો દંડ ફરમાવેલ છે. આ બનાવ અંગે કોઇને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ આરોપીને વધુ એક વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. ૫,૦૦૦/-નો દંડ પણ ફરમાવેલ છે.

 

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, ૧૬ વર્ષની સગીર કન્યા કોઠારિયા મેઇન રોડ પાસે રહેતી હતી અને બનાવના દિવસે વહેલી સવારે જાજરૂ જવા ગયેલ ત્યારે અવાવરૂ જગ્યાએ આરોપી રવિ રાણાભાઇ ધામેચા પહોંચી ગયેલ અને ભોગ બનનારને ધકો દઇ પછાડી બાવડુ પકડી ખીસ્સામાંના રૂમાલથી મોઢે મુંગો દઇ દીધેલ અને બળજબરીથી તેણીના કપડા કાઢી શરીર સંબંધ બાંધેલ હતો અને ત્યારબાદ પોતાના કપડા પહેરી જતો રહેલ હતો. જતા પહેલા આરોપીએ ભોગ બનનારને ધમકી આપેલ કે આ બનાવ અંગે જો કોઇને વાત કરીશ તો જાનથી મારી નાખીશ. આ રીતનો બનાવ અને આ પ્રકારની ધમકીના કારણે સગીર ભોગ બનનાર અતિશય ગભરાઇ ગયેલ હતી અને કોઇને વાત કરી શકેલ ન હતી.પરંતું સમય જતા તેણીને ગર્ભ રહી ગયાનું જણાઇ આવેલ હતું. આમ બનતા તેણી વધારે ગભરાઇ ગયેલ હતી અને ગર્ભ રહી ગયેલ હોવાની હકિકત પણ લાંબા સમય સુધી પોતાના માતા-પિતાને જણાવેલ ન હતી. પરંતુ એક દિવસ તેણીને પેટમાં દુઃખાવો થતા માતા-પિતાન તેણીને ડોકટર પાસે લઇ ગયેલ ત્યારે માતા-પિતાને ખ્યાલ આવેલ કે આ ભોગ બનનાર ગર્ભવતી છે. અને પોતાની દિકરી ઉપર રવિ રાણાભાઇ ધામેચાએ વહેલી સવારે અવાવરૂ જગ્યાએ બળાત્કાર ગુજારેલ હતો. આથી મા-બાપની હિંમત મળતા ભોગ બનનારે પોલીસમાં ફરીયાદ નોંધાવેલ હતી.

મહિલા પોલીસ સ્ટેશને આ ગુનાની તપાસ દરમ્યાન ભોગ બનનારની વિસ્તૃત પુછપરછ કરી બનાવની જગ્યાનું પંચનામુ દોરેલ હતું અને ભોગ બનનારની મેડીકલ તપાસણી કરાવી અને તેના મેડીકલ સેમ્પલો લીધેલા હતા. આ તપાસ દરમ્યાન ભોગ બનનારે બાળકીને જન્મ આપતા બાળકીના તથા આરોપીના બ્લડ સેમ્પલો લઇ ન્યાય સહાયક લેબોરરેટરી, ગાંધીનગરને ભૃણના પિતૃત્વ અંગે પરીક્ષણ કરવા મોકલી આપેલ હતું. આ પરીક્ષણમાં ન્યાય સહાયક લેબોરેટરી, ગાંધીનગરએ બાળકીના પિતા આરોપી રવિ રાણાભાઇ ધામેચા હોવાનો રીપોર્ટ આપેલ હતો.

શ્રી સરકાર તરફે જીલ્લા સરકારી વકિલ શ્રી સંજયભાઇ કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે ભારતીય પુરાવા અધિનિયમમાં જે સુધારો કરવામાં આવેલ છે તે સુધારાની કલમ - ૧૧૪ (ક) મુજબ જયારે ભોગ બનનાર કોર્ટ સમક્ષની જુબાનીમાં જણાવે કે શરીર સંબંધ વખતે તેણીની સંમતી ન હતી ત્યારે ન્યાય અદાલતે સંમતી ન હોવાનુ માનવુ ફરજીયાત છે. આ કારણે જયારે ભોગ બનનારે કોર્ટ સમક્ષની જુબાનીમાં જણાવેલ હોય કે તેણીની સંમતી ન હતી ત્યારે આ કેસ સ્પષ્ટપણે બળાત્કારનો જ થાય છે. ફરીયાદ અને જુબાનીના વિરોધાભાષ બાબતે શ્રી સરકાર તરફે રજુઆત કરવામાં આવેલ હતી કે ફરીયાદ અથવા નિવેદન આપતી વખતે જે અધિકારી રૂબરૂ હકિકતો જણાવવામાં આવે છે તે સંજોગો અને નામ કોર્ટમાં જયારે જુબાની આપવામાં આવે છે ત્યારે તે સંજોગો સંપુર્ણપણે ભિન્ન હોય છે. પોલીસ અધિકારી રૂબરૂ અપાયેલ નિવેદન શબ્દસહ લખાયેલ ન હોય પરંતુ ન્યાય અદાલતમાં આપવામાં આવેલ જુબાની શબ્દસહ નોંધવામાં આવે છે.

આ કારણે ફરીયાદ અને જુબાનીમાં જો થોડી ઘણી ભિન્નતા હોય તો તેને વિરોધાભાસ ગણી ભોગ બનનારને ખોટા માની શકાય નહી. વધુમાં તેમ રજુઆત કરવામાં આવેલ કે જયારે ભારતીય પુરાવા અધિનિયમમાં ભોગ બનનારની સંમતી અંગે ચોકકસ જોગવાઇ કરવામાં આવેલ હોય ત્યારે કાયદો ન્યાય અદાલત સમક્ષની એકમાત્ર જુબાનીને જ મહત્વ આપે છે તેમ માનવુ ઘટે અને તે સંજોગોમાં ફરીયાદ કે નિવેદનની વિગતો સાથે જુબાનીની હકિકતોની તુલના કરવી કાયદા મુજબ માન્ય નથી. આ તમામ રજુઆતો ધ્યાનમાં લઇ પોકસો કોર્ટના સ્પેશ્યલ જજ શ્રી એમ.એમ.બાબી એ આરોપી રવિ રાણાભાઇ ધામેચાને પોકસો એકટની કલમ- ૬ હેઠળ તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂ.૧પ,૦૦૦/ નો દંડ ફરમાવેલ છે.

આ કેસમાં શ્રી સરકાર તરફે જીલ્લા સરકારી વકિલ શ્રી સંજયભાઇ કે.વોરા રોકાયેલા હતા.(૨૨.૧૪)

(4:03 pm IST)