રાજકોટ
News of Wednesday, 22nd May 2019

રવિવારે મેઘવાળ સમાજના સમુહલગ્ન : ૧૫ યુગલો જોડાશે

અલમીન માનવસેવા ચેરીટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા સતત ૮ માં વર્ષે : વોર્ડ નં.૧૫ ના આંગણે અવસર : ૧૫ આગેવાનો સત્કારશે : સંતો મહંતો અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે

રાજકોટ તા. ૨૨ : અલમીન માનવ સેવા ચેરીટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ તેમજ મેઘવાળ સમાજ દ્વારા આગામી તા. ૨૬ ના રવિવારે જ્ઞાતિની દિકરીઓના સમુહલગ્નનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે અલમીન માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સતત ૮ મુ આયોજન છે. સમુહલગ્ન ઉપરાંત મંદબુધ્ધીના બાળકો માટે પતંગોત્સવ, વિકલાંગોની સેવા, બ્લડ ડોનેશન કેમ્પ, વિદ્યાર્થી સન્માનના કાર્યક્રમો કરવામાં આવે છે. નજીવા દરે એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરાઇ છે.

પૂ. મોરારીબાપુની રામકથાના આયોજન દરમિયાન ૩૨ દિકરીઓના લગ્નનો અવસર પાર પાડવામાં આવ્યો હતો. એ જ રીતે પૂ. રમેશભાઇ ઓઝાની કથા દરમિયાન પણ ૩૧ દિકરીઓના લગ્ન કરાયા હતા.

હવે આગામી તા. ૨૬ ના રવિવારે ૮ માં સમૂહલગ્ન યોજેલ છે. ૮૦ ફુટ રોડ, આજી જી.આઇ.ડી.સી. હુન્ડાઇ શોરૂમની સામે, રાજકોટ ખાતે આયોજીત આ સમુહલગ્નમાં ૧૫ દિકરીઓ પ્રભુતામાં પગલા લેશે.

વોર્ડ નં.૧૫ ના આંગણે આવેલ આ અવસરમાં ૧૫ દિકરીઓના લગ્ન થશે અને ૧૫ આગેવાનો દ્વારા સત્કાર કરાશે.

આ મંગલ અવસરે સોનલમાં આશ્રમ બાંદરાના પૂ. શ્રી ગોરધનદાસ બાપા અને નવા થોરાળાની બાલક સાહેબ જગ્યાના નાનકદાસ બાપુ તેમજ મુખ્ય મહેમાન તરીકે કલેકટર રાહુલ ગુપ્તા, મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી રાણા વસીયા ઉપસ્થિત રહી નવવિવાહીતોને આશીર્વચનો આપશે. કન્યાઓને કરીયાવરમાં સોનાની ચુક,  ચાંદીના સીકકા, પાનેતર, કબાટ, સેટી, કીચન વેર આઇટેમો મળી જીવન જરૂરીયાતની સંખ્યાબંધ વસ્તુઓ અપાશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થા સ્થાપક અને મ્યુ. વિરોધપક્ષના નેતા વશરામભાઇ આલાભાઇ સાગઠીયા (મો.૯૮૨૫૧ ૬૫૧૯૧) અને પ્રમુખ બીપીનભાઇ ખીમજીભાઇ સાગઠીયા (મો.૯૯૭૮૬ ૧૮૩૧૪) ના નેતૃત્વમાં સમુહલગ્ન સમિતિના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા વશરામભાઇ ચાંડપા, બીપીનભાઇ સાગઠીયા, લલીતભાઇ પરમાર, હીરાલાલ પરમાર, નરેશભાઇ પરમાર, અરવિંદભાઇ મુછડીયા, હીરાભાઇ ચાવડા, કાળુભાઇ સોલંકી, મનસુખભાઇ વાઘેલા, ખીમજીભાઇ મકવાણા, મહેશભાઇ અઘેરા, સી. ડી. ચાવડા, ભાણજીભાઇ દાફડા, જગદીશ ડાંગર વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:42 pm IST)