રાજકોટ
News of Tuesday, 22nd May 2018

અસંગઠીત મજદુર સંમેલનમાં ભાજપ સરકાર પર ચાબખા

રાજકોટ ખાતે કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર-ઝોનનું સંમેલનઃ મોઢવાડીયા, બ્રિજેશ મેરજા સહિતના આગેવાનોની ઉપસ્થીતી :સરકારી, અર્ધ સરકારી, ઔદ્યોગીક વસાહતોના અસંગઠીત મજદુરનું સંગઠન કરી તેઓના હક્ક માટે લડત આપશે કોંગ્રેસઃ મીશન ર૦૧૯ :ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહપ્રભારી તરીકે મોહંતી બાધેલની થયેલ નિમણુક :AICCના લઘુમતી સેલના :ચેરમેન પદે નદીમ જાવેદ :હિમાચલમાં રજની પટેલ :બિહારમાં રાઠોડ-લીલોથીયા

આજે અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા અસંગઠીત મજદુરોનું સૌરાષ્ટ્ર ઝોનનું સંમેલન મળ્યુ હતું તે સમયની તસ્વીર પ્રથમ તસ્વીરમાં સંમેલનમાં થયેલ ઠરાવોનું વાંચન કરી રહેલા પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયા નજરે પડે છે. નીચેની તસ્વીરમાં સંમેલનને ખુલ્લુ મુકતા મોઢવાડીયા, બાજુમાં પ્રદેશ મહામંત્રી ડો. હેમાંગ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત, બ્રિજેશ મેરજા, મુકેશ ચાવડા, પ્રદીપ ત્રિવેદી નજરે પડે છે. છેલ્લી તસ્વીરમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સમુદાય નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૨ :. આગામી લોકસભા ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરવા ખભ્ભા ઉંચકનાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્યભરમાં જનસંપર્ક અભિયાન આદર્યુ છે ત્યારે કોંગ્રેસની અસંગઠીત મજદૂર સમિતિ આયોજીત સૌરાષ્ટ્ર ઝોનના સંમેલનનો આજે સવારે ૧૧ વાગ્યે પ્રારંભ હતો.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બોલતા અર્જુનભાઇ મોઢવાડીયાએ સરકારની કામદારોના પ્રશ્ને ઘોર બેદરકારીઓ વર્ણવીને રાજય સરકાર તથા કેન્દ્ર સરકારને આડેહાથ લીધી હતી.

શહેરની મધ્યમાં આવેલ સ્વ. અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે ર પૂર્વ પ્રદેશ પ્રમુખ - વિપક્ષી નેતા અર્જુનભાઈ મોઢ વાડીયા, સમિતિ અધ્યક્ષ અશોક પંજાબી, ડો. હેમાંગ વસાવડાની ઉપસ્થિતિમાં સંમેલનનો પ્રારંભ થયો છે.

ગુજરાતમાં કોંગ્રેસને ફરી મજબુત બનાવવાના ઉદેશથી અગાઉની જેમ જ સર્વસ્તરીય મજબૂત માળખુ બનાવવાની ગતિવિધિઓ તેજ બનાવાઈ છે. જેના ભાગરૂપે અગાઉ ઈન્ટુકની જેમજ અસંગઠીત મજદુરોને સંગઠીત કરી તેમના હક્ક-હિસ્સા માટે લડત લડવાના નિર્ધાર સાથે આજે મળેલ સંમેલન ઘણુ મહત્વ ધરાવે છે.

સરકારી - અર્ધ સરકારી કર્મચારીઓ, ફીકસ પગારદારો તથા રાજ્યના તમામ મુખ્ય ઔદ્યોગીક વસાહતોના અસંગઠીત મજદુરોનું સંકલીત સંગઠન બનાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની અસંગઠીત મજદુર કમિટિના અધ્યક્ષ અશોક પંજાબીના વડપણ હેઠળ એક અભિયાન આદરી સંગઠન માળખુ રચાશે.

આ સંગઠન માળખા અંતર્ગત તૂર્તમાં અમદાવાદ ખાતે કામદાર રેલીનું આયોજન પણ વિચારાઈ રહ્યુ છે. જેને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સંબોધન કરે તેવા પ્રયાસો આદરાયા છે.

આ લખાય છે ત્યારે જ્યુબીલી ખાતેના મણીયાર હોલ ખાતે ડો. હેમાંગ વસાવડા અને શહેરની કોંગ્રેસ ટીમ દ્વારા આયોજીત સૌરાષ્ટ્ર ઝોનના અસંગઠીત મજદુર સંમેલનમાં સૌરાષ્ટ્રભરના આગેવાનો, મોરબીના બ્રિજેશ મેરજા, પિયુષ મહેતા, પ્રદીપ ત્રિવેદી, મહેશ રાજપૂત, જસવંતસિંહ ભટ્ટી, મુકેશ ચાવડા, રાજદિપસિંહ જાડેજા,  સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

(4:24 pm IST)