લોટરી બજાર પાસેથી માયા ભટ્ટને એસઓજીએ તમંચા-કાર્ટીસ સાથે દબોચ્યોઃ એમપીના નયન પાસેથી લીધો'તો
ફ્રુટના ગોડાઉનમાં મજૂરી કરતાં શખ્સે શોખ ખાતર રાખ્યાનું રટણઃમનરૂપગીરી, ગિરીરાજસિંહ અને નિખીલભાઇની બાતમી
રાજકોટ તા. ૨૨: શહેર એસઓજીની ટીમે જ્યુબીલી બાગ જુની લોટરી બજાર પાસેથી હેડકોન્સ. મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. ગિરીરાજસિંહ જાડેજા અને નિખીલ પીરોજીયાની બાતમી પરથી ધર્મેન્દ્ર રોડ, શાક માર્કેટ પાસે રહેતાં માયા મહેશભાઇ ભટ્ટ (ઉ.૨૦) નામના બ્રાહ્મણ શખ્સને રૂ. ૫ હજારના તમંચા અને એક જીવતા કાર્ટીસ સાથે પકડી લીધો છે.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયાની સુચના અને પીઆઇ આર. વાય. રાવલની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.એમ. રાણા, હેડકોન્સ.ધર્મેન્દ્રસિંહ રાણા, કોન્સ. જયંતિગીરી, ગિરીરાજસિંહ ઝાલા, અનિલસિંહ ગોહિલ, બ્રિજરાજસિંહ ઝાલા, ચેતનસિંહ ગોહિલ, યુવરાજસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મનરૂપીગીરી સહિતનાને ચોક્કસ બાતમી મળતાં આ કામગીરી થઇ હતી. પકડાયેલો શખ્સ ફ્રુટના ગોડાઉનોમાં આવતી ટ્રકમાંથી માલ ઉતારવાનું કામ કરે છે. તેણે એમપીથી ટ્રક લઇને આવેલા નયન નામના શખ્સ પાસેથી આ તમંચો શોખ ખાતર લીધાનું રટણ કર્યુ હોઇ વિશેષ પુછતાછ થઇ રહી છે.