રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના ૧૦ કેસઃ કાલે ૫૬૫ લોકોએ વેકસીન લીધી
શહેરમાં કુલ કેસનો આંક ૧૪,૮૭૩એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં કુલ ૧૪,૩૦૫ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યોઃ રિકવરી રેટ ૯૬.૨૪ ટકા
રાજકોટ, તા.૨૨: વૈશ્વિક મહામારી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે શહેરમાં આજ બપોર સુધીમાં ૧૦ કેસ નોંધાયા છે. જયારે ગઇકાલે ૫૬૫ લોકોએ વેકસીન લીધી હતી.
આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૧૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૪,૮૭૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૪,૩૦૫ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૬.૨૪ ટકા રિકવરી રેટ થયો છે.
ગઇકાલે કુલ ૧૪૨૨ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૪૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૦૨ ટકા થયો હતો. જયારે ૪૮ દર્દીઓને સાજા થયા હતા.
જયારે આજ દિન સુધીમાં ૫,૬૧,૪૮૭ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૪,૮૭૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૬૫ ટકા થયો છે.
કુલ ૧૫૫૫ લોકોએ વેકસીન લીધી
દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા તા.૧૬નાં કોરોના વેકસીન લોન્ચ કરવામાં આવી છે. વેકસીન કામગીરી અંતર્ગત તા.૧૬નાં ૫૫૬, તા.૧૯નાં ૪૩૪ તથા ગઇકાલે તા.૨૧નાં ૫૬૫ સહિત કુલ ૧૫૫૫ લોકોને વેકસીન આપવામાં આવી હતી.