સુપ્રીમના ચૂકાદા પછી જરૂર પડે તો વટહુકમ લાવીને પણ રામ મંદિર બનાવવું જોઇએઃ ચેતન્ય મહારાજ
મોદીના નેતૃત્વમાં દેશ સુરાજ્ય તરફ જઇ રહયાનો પ્રજાને વિશ્વાસઃ ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી જીવદયા પ્રેમી, એની કામગીરી સારી
ગુજરાત ગૌસેવા આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી ચૈતન્ય મહારાજે ગઇકાલે અકિલાની શુભેચ્છા મુલાકાત લઇ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ચર્ચા કરેલ તે પ્રસંગની તસ્વીરમાં સાથે કર્ણાવતીના અતુલભાઇ મહેતા અને દર્શિત રાવલ ઉપસ્થિત રહયા હતાં.(૧.૭)
રાજકોટ તા.રરઃ જાણીતા ગૌભકત શ્રી શ્રી શંભુ મહારાજના સુપુત્ર અને ગુજરાત ગૌચર વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ કથાકાર શ્રી ચૈતન્ય મહારાજે હિન્દુઓની પ્રચંડ લાગણી મુજબ અયોધ્યામાં રામ મંદિર બનાવવા પર ભાર મૂકયો છે. તેમણે વડાપ્રધાન શ્રી મોદીના નેતૃત્વમાં દેશ સુરાજ્ય તરફ ગતિ કરી રહયાનો મત વ્યકત કર્યો છે.
શ્રી ચૈતન્ય મહારાજે અકિલાના આંગણે જણાવેલ કે કોંગ્રેસ રામ મંદિર 'નિમાર્ણમાં વિધ્ન સર્જી' રહી છે. આ કેસ લોકસભાની ચૂંટણી પછી ચલાવવા કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે સુપ્રીમમાં રજુઆત કરી હતી. અમને સુપ્રીમ કોર્ટ પર પૂરો ભરોસો છે. મંદિર નિર્માણ ધર્મગુરૂઓ સાથે આંતરિક સમાધાનથી અથવા સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી અથવા કેન્દ્ર સરકારના વટહૂકમથી બની શકે તેમ છે. સુપ્રીમનો ચૂકાદો હિન્દુઓની લાગણી મજુબ આવવાની આશા છે. સુપ્રીમના ચૂકાદા પછી જરૂર પડે તો કેન્દ્ર સરકારે વટહુકમ લાવીને પણ રામ મંદિર બનાવવું જ જોઇએ.
તેમણે એક પ્રશ્નના જવાબમાં જણાવેલ કે અમદાવાદનું કર્ણાવતી નામ કરી ભાજપે વચન પાળવું જોઇએ.
શ્રી ચૈતન્ય મહારાજે જણાવેલ કે છેલ્લા પાંચેક વર્ષથી શ્રી મોદીના નેતૃત્વમાં દેશ સુરાજ્ય તરફ ગતિ કરી રહયાની પ્રજાની અનુભૂતિ છે. નોટબંધી, જી.એસ.ટી., ૧૦ ટકા આર્થિક અનામત વગેરેે ક્રાંતિકારી પગલા છે. તેમને વધુ પાંચ વર્ષ તક મળવી જોઇએ તેવી લોકલાગણી છે. ગુજરાતમાં વિજયભાઇ રૂપાણી જીવદયા પ્રેમી મુખ્યમંત્રી છે. તેમણે ગૌરક્ષા માટે કાયદો કડક કર્યો છે. રસ્તે અકસ્માત જોવે તો પોતાનો કાફલો રોકીને ઉપયોગી થાય છે. યાત્રાધામોની સ્વચ્છતા અને વિકાસ માટે તેમણે ઘણા પગલા ભર્યા છે. રાજ્ય સરકારની કામગીરી ઘણી સારી છે. ૧૦ ટકા આર્થિક અનામતનો અમલ કરનારૂ ગુજરાત પ્રથમ રાજ્ય છે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને ૧૦૦ ટકા સફળતા મળશે તેવું મારુ માનવું છે.(૧.૭)