બ્રહ્મસમાજ ડખ્ખોઃ ચૂંટણી નિરીક્ષકે જ ચૂંટણી રદ્દબાતલ કરેલી
ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ભારત જાની સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના સભ્ય બન્યા'તાઃ ચૂંટણીમાં ઉમેદવારી કરવી હોય તો ફોર્મ ભરવું પડે, પણ જે લોકો સભ્ય જ નથી તેવા લોકોએ દાવેદારી નોંધાવી હતીઃ ઈશ્વરીયા મંદિરેથી માધાપર ગામ સુધી જય જય પરશુરામના નાદ સાથે ભયનો માહોલ ફેલાવ્યો'તોઃ હાર- જીતનો કોઈ સવાલ જ નથી હું જ પ્રમુખપદે ચાલુ છુઃ પંકજ રાવલ
રાજકોટ,તા.૨૨: ગત રવિવારે ઈશ્વરીયા મહાદેવ મંદિરે યોજાએલ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટની ચૂંટણીમાં ભારે ધમાલ મચી ગઈ હતી. વિવાદ વધુને વધુ ઘેરાતો જાય છે. દરમિયાન જે તે સમયે ચૂંટણી નિરીક્ષકે જ ચૂંટણી રદ્દબાતલ કરી દીધાનું હાલના પ્રમુખ શ્રી પંકજભાઈ રાવલે જણાવ્યું હતું. ચૂંટણીમાં ઉમેદવારી કરી હોય તો ફોર્મ ભરવું પડે પણ સામા પક્ષે ચૂંટણી સમયે જ પોતાની દાવેદારી નોંધાવી હતી. ચૂંટણી નિરીક્ષકે જ ચૂંટણીને રદ્દબાતલ ઠેરવી અને નવી તારીખ જાહેરાત કરાશે. તેવી ઘોષણા કરવામાં આવેલ. ત્યારબાદ ભારત જાની અને તેના મળતીયાઓએ ભારે ધમાલ મચાવી હોવાનું જણાવ્યું હતું.
શ્રી પંકજભાઈ રાવેલ જણાવેલ કે જે લોકો સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના સભ્યો પણ નથી તેવા લોકોએ ચૂંટણી સમયે ૧૫૦થી વધુ નામ નોંધાવ્યા હતા. ચૂંટણીની મતગણતરી દરમ્યાન ભારત જાની સહિતની ટોળકીએ ભારે ધમાલ દેકારો મચાવી ચૂંટણી નિરીક્ષક પાસે બહુમતી જાહેર કરવાની કરવાની ફરજ પાડી હતી. આ ચૂંટણી માન્ય ન ગણાય એટલે ચૂંટણી નિરીક્ષક શ્રી દિપકભાઈ વ્યાસ અને શ્રી ભુપતભાઈ પંડ્યાએ આ ચૂંટણીને રદ્દબાતલ કરી નવી તારીખ જાહેર કરાશે તેમ જણાવ્યું હતું.
ભારત જાનીએ ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ સંસ્થાના સભ્ય બન્યા હતા. તેઓ તા.૧૮/૧/૧૯ના આ સંસ્થામાં સભ્ય બન્યા હતા અને સભ્ય બન્યાના પહોંચ નં.૯૪૩ છે. તેઓ ચૂંટણીમાં ડખ્ખો કરાવવા સાથે ગુંડાઓને પણ લઈ આવ્યા હોવાનો આક્ષેપ પંકજભાઈએ કર્યો હોત. આ ઉપરાંત ૧૮મી જાન્યુ.એ સંસ્થામાં સભ્ય બનાવાની ૨૦ થી વધુ પહોંચ પોતાની જાતે બનાવેલ હોવાનું પણ તેઓએ આક્ષેપો કર્યા હતા. તેઓ જે લોકોને સાથે લઈને આવ્યા હતા તે આ સંસ્થામાં સભ્યપદ પણ ધરાવતા ન હતા. હાર-જીતનો કોઈ સવાલ જ નથી પ્રમુખપદે હું (પંકજ રાવલ) જ ચાલુ હોવાનું તેઓએ જણાવેલ.પંકજભાઈએ વધુમાં જણાવેલ કે ચૂંટણી સમયે ગાળાગાળી કરી અને અમારા સંસ્થાના સભ્યો સાથે હાથાપાઈ કરી અને રિવોલ્વર કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તયારબાદ આ શખ્સોએ ઈશ્વરીયા મંદિરથી માધાપર ગામ સુધી ભયનો માહોલ ઉભો કરી દીધો હતો અને જય જય પરશુરામના નારાઓ લગાવી ધાકધમકીઓ આપી હતી. જેનો માધાપર ગ્રામ પંચાયતમાં વિડીયો ફૂટેજના રેકોર્ડ હોવાનું તેઓએ અંતમાં જણાવ્યું હતું.(૩૦.૬)
લેટરપેડનો પણ દુરપયોગ, રજુઆતમાં મુખ્ય હોદ્દેદારો હાજર જ ન હતા
રાજકોટઃ શ્રી પંકજભાઈ રાવેલ જણાવેલ કે ગઈકાલે ભારત જાની અને તેના સાથીઓએ પોલીસ કમિશ્નરશ્રીને રજુઆત સાથેનો સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટના લેટરપેડનો ઉપયોગ કરાયો હતો. આ સંસ્થાના મુખ્ય હોદ્દેદારો એવા શ્રી મુળશંકર તેરૈયા, શ્રી ભુપતભાઈ પંડ્યા અને શ્રી દિલીપભાઈ દવે જ હાજર ન હતા. આમ લેટરપેડનો પણ દૂરપયોગ થયાનું તેઓએ જણાવેલ.(૩૦.૫)