રાજકોટ
News of Tuesday, 22nd January 2019

જીવનનું પ્રથમ પગથીયું જે ભૂલતાં નથી તે અંતિમ પગથીયું કદી ચૂકતાં નથીઃ પૂ. નમ્રમુનિ મ.સા.

રાષ્ટ્રસંતશ્રી ની ગોંડલ રોડ વેસ્ટ સંઘમાં પધરામણીઃ રાજકોટથી વિહાર

રાજકોટઃ તા.૨૨, પ્રભાવશાળી વ્યકિતત્વ, મધુરવાણી, અગાધ જ્ઞાન અને પ્રભુ ધર્મ પ્રત્યેની ખેવનાના આધારે હજારો આત્માઓને કલ્યાણના માર્ગ તરફ દોરી જઈ રહેલાં રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ  રાજકોટ નગરથી વિહાર કરતાં પૂર્વે શ્રી ગોંડલ રોડ સ્થાનકવાસી જૈન સંઘમાં પધરામણી કરીને ભાવિકોને બોધિત કર્યા હતાં.

શ્રી સંઘમાં રાષ્ટ્રસંત પૂજયશ્રીની પાવન પધરામણી થતાં અંતરના ઉલ્લાસ-આનંદ અને અત્યંત ભકિત ભાવથી શ્રી સંદ્યના ભાઈઓ અને બહેનોએ અષ્ટમંગલ ના શુભ પ્રતિક ધરીને, મસ્તકે કલશ અને છત્ર સાથે સદગુરુદેવના વધામણા કર્યા હતાં.

 આ અવસરે પૂજય શ્રી અજીતાબાઈ મ.,પૂજય શ્રી સુજીતાબાઈ મ., પૂજય શ્રી સંજીતાબાઈ મપૂજય શ્રી હેમાંશીબાઈ મ., તેમજ સંઘાણી સંપ્રદાયના પૂજય શ્રી આરતીબાઈ મ. અને પૂજય શ્રી ખ્યાતીબાઈ મ.ની વિશેષભાવો સાથે ની ઉપસ્થિતિ ઉપરાંત રોયલ પાર્ક સંઘ પ્રમુખ  ચંદ્રકાંતભાઇ શેઠ, નેમિનાથ વીતરાગ સંઘના  ભરતભાઈ દોશી, શ્રી સરદારનગર સંઘના  મેહુલ ભાઈ,   જીતુભાઈ કોઠારી, મુંબઈ પારસધામ સંઘના   જીગરભાઈ શેઠ, ગોંડલ સંઘના  પ્રવિણભાઈ કોઠારી,  મનીષભાઈ દેસાઈ, ગીતગુર્જરીના   શીરીષભાઈ બાટવીયા, નવદીક્ષિત પરિવાર,  સંજયભાઈ શેઠ, ગોંડલ રોડ વેસ્ટના  ી કિરીટભાઈ શેઠ તેમજ ટ્રસ્ટીગણ, જૈન ચાલ સંઘના  પરેશભાઈ,   મનોજભાઈ ડેલીવાળા, સાધના ભવનના  અલ્પેશભાઈ મોદી આદિ અનેક અનેક શ્રી સંઘ શ્રેષ્ઠીવર્યો પૂજય શ્રીને વિહાર શુભેચ્છા અર્પણ કરવાના ભાવ સાથે પધાર્યા હતાં.

 વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકગણને પ્રભુના પ્રસન્ન વદનના ગુણધર્મની સમજ આપીને રાષ્ટ્રસંત પૂજયશ્રીએ અત્યંત મધુર શૈલીમાં બોધ આપતા કહ્યું હતું કે, તકલીફો, વેદનાઓ અને મુશ્કેલીઓ ચાહે જીવનમાં ગમે એટલી કેમ ન હોય પરંતુ ચહેરાની મુસ્કાન ન જાય તે મહાવીરનો વારસદાર હોય છે. જીવનમાં, આ કાળમાં બીજી કોઈ સાધના કે આરાધના થાય કે ન થાય પરંતુ અન્યના ચહેરા પર જે મુસ્કાન લાવી શકે તે મહાવીરનો વારસદાર હોય છે. જો મહાવીરનો ચહેરો કદી મુરઝાએલો ન હોય તો મહાવીરના શ્રાવકનો ચહેરો પણ કદી મુરઝાએલો ન હોય શકે.

ઉપરાંતમાં, દરેક આત્માને એક સમાન ઓળખાવીને રાષ્ટ્રસંત પૂજયશ્રીએ કહ્યું હતું કે, આ જગતમાં કોઈ વ્યકિત કયારેય નાની નથી હોતી અને કોઈ વ્યકિત કયારેય મોટી નથી હોતી. માત્ર અંદરની ક્ષમતા નું પ્રાગટ્ય કરવાનું હોય છે. પરંતુ જગતના મોટા ભાગના લોકો વર્તમાનમાં ન જીવીને ભૂતકાળમાં તેમજ ભવિષ્યની કલ્પનાઓમાં રાચીને પોતાને નેગેટીવ બનાવી દેતા હોય છે. ક્ષમતા માત્ર મહાવીરની જ નથી હોતી, મોક્ષની મોનોપોલી માત્ર મહાવીરની જ નથી હોતી પરંતુ દરેક આત્મા પોતાની ક્ષમતાનું પ્રાગટ્ય કરીને મોક્ષનો અધિકારી બની શકે છે.

  વિશેષમાં, ધર્મ અને ધર્મસ્થાન પ્રત્યેની ચિંતા અને ખેવનાનો સંદેશ આપતાં જણાવ્યું હતું કે, જેના હૃદયમાં ધર્મ પ્રત્યેની ચિંતા જાગૃત થઇ જાય છે તે આત્માનું કલ્યાણ થઇ જતું હોય છે. આપણાં ધર્મસ્થાન તે માત્ર શ્રવણસ્થાન ન બની રહે પરંતુ દરેક માટે ધર્મનું એક અવલંબન સ્થાન, શ્રદ્ઘા અને આસ્થાનું કેન્દ્ર બનવા જોઈએ. અને તે માટે સતત અને સતત કોઈ ને કોઈ રીતે ધર્મ પ્રત્યેનું સાતત્ય જાળવવા માટેનું કનેકશન રાખવું આ કાળમાં જરૂરી બની જાય છે.

 આ અવસરે રાષ્ટ્રસંત પૂજયશ્રીને વિહારની શુભેચ્છા આપતાં   પ્રવીણભાઈ કોઠારી, ચન્દ્રકાન્તભાઈ શેઠ,   કિરીટભાઈ,  રમણીકભાઇ,   ભરતભાઈ દોશી,   જીતુભાઇ કોઠારી,  જીગરભાઈ શેઠ તેમજ   મેહુલભાઈએ સુંદર ભાવોની અભિવ્યકિત સાથે રાષ્ટ્રસંત પૂજયશ્રીના સુસ્વાસ્થ્ય અને શાતાકારી વિહારચર્યાની ભાવના ભાવેલ.

 

(3:48 pm IST)