આવાસ યોજનામાં તંત્ર ધોકો પછાડશેઃ ભાડુતોનું ચેકીંગ
રાજકોટ, તા., ર૧: શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ મ્યુનીસીપલ કોર્પોરેશનની આવાસ યોજનામાં ૧ લી ફેબ્રૂઆરીથી ચેકીંગ હાથ ધરવામાં આવશે. જેમાં લાભાર્થીઓના ડોકયુમેન્ટ, દસ્તાવેજ, ચડત હપ્તા સહિતની બાબતો ચેક કરી કાર્યવાહી હાથ ધરાશે.
આ અંગેની પ્રાપ્ત માહીતી મુજબ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ આવાસ યોજનાનો તંત્ર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ૬૦૦ થી વધુ ફલેટ ભાડે આપ્યા હોવાનો રીપોર્ટ દર્શાવવામાં આવ્યો છે તેમજ ૪૦૦ થી વધુ આવાસોનું નિયમ વિરૂધ્ધ વેચાણ થયું હોવાનો ધડાકો થયો હતો.
આ સર્વે બાદ તંત્ર દ્વારા ૧ લી ફેબ્રુઆરીથી શહેરની ર૪ આવાસ યોજનામાં ચેકીંગ હાથ ધરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં લાભાર્થીઓના ડોકયુમેન્ટ, દસ્તાવેજ, ચડત હપ્તા, સહિતની બાબતોનું ચેકીંગ કરવામાં આવશે. (૪.૧૪)