બિમારીથી કંટાળી સળગી ગયેલા ગણેશનગરના ભરત ગોહેલનું મોત
નશો કર્યા બાદ કોઠારીયાનો વિક્કી સળગ્યોઃ આઠ મહિનાથી કામધંધો ન મળતાં સર્વોદય સોસાયટીના ધર્મેશભાઇનું અગ્નિસ્નાન
રાજકોટ તા. ૨૨: મોરબી રોડ પર ગણેશનગર-૧૧માં રહેતાં ભરતભાઇ વશરામભાઇ ગોહેલ (ઉ.૩૫) નામના ચમાર યુવાને ૧૪મીએ અગ્નિસ્નાન કરી લેતાં સારવાર હેઠળ હતો. તેનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. શારીરિક નબળાઇ હોવાથી કામ કરી શકતો નહોતો. બિમારીથી કંટાળીને આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે.
મૃત્યુ પામનાર ભરતભાઇ છૂટક મજૂરી કરતો હતો. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. શરીર નબળુ હોવાથી કામ ધંધો કરી શકતો ન હોઇ કંટાળીને પગલું ભર્યાનું તેના પરિવારજનોએ કહ્યું હતું. હેડકોન્સ. ખોડુભા જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં કોઠારીયા ગામમાં રહેતાં વિક્કી મનુભાઇ નૈયા (ઉ.૨૮) નામના વાલ્મિકી યુવાને અગ્નિસ્નાન કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તે બે ભાઇમાં નાનો છે અને સંતાનમાં એક પુત્ર છે. કારખાનામાં મજૂરી કરી ગુજરાન ચલાવે છે. નશાની હાલતમાં પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું. આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.
ત્રીજા બનાવમાં થોરાળાની સર્વોદય સોસાયટી-૨માં રહેતાં ધર્મેશભાઇ દેવજીભાઇ રાણવા (ઉ.૪૨) નામના વણકર યુવાને અગ્નિસ્નાન કરી લેતાં સારવાર હેઠળ છે. તે ચાર ભાઇ અને બે બહેનમાં નાના છે.સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે ખાનગી દવાખાનામાં કામ કરે છે. સાત-આઠ મહિનાથી કામધંધો ન મળ્યો હોઇ કંટાળીને પગલું ભર્યાનું તેના પત્નિએ જણાવ્યું હતું.
સગર્ભા હિરલ ભુલથી બીજી દવા પી ગઇ
યુવરાજનગર મફતીયાપરા-૧માં રહેતી હિરલ શાયર પરમાર (ઉ.૨૨) નામની સરાણીયા સગર્ભા કમરના દુઃખાવાને બદલે ભુલથી બીજી દવા પી જતાં સારવાર માટે દાખલ કરાઇ છે. તેણીને હાલમાં સારા દિવસો જઇ રહ્યા છે. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ અને રવિભાઇ ગઢવીએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.