૨૫ નવેમ્બરે માંસ રહીત દિવસ મનાવજો : સાધુ વાસવાણી સેન્ટર
સાધુ ટી.એલ. વાસવાણીના જન્મદિન
રાજકોટ તા. ૨૧ : સિંધના હૈદરાબાદ પ્રાંતમાં ૨૫ નવેમ્બર ૧૮૭૯ ના દિવસે મહાન સંત સાધુ ટી.એલ. વાસવાણીએ જન્મ લીધો હતો. તે પવિત્ર આત્માની યાદમાં ૨૫ નવેમ્બરના દિવસને 'માંસ રહિત દિન' તરીકે ઉજવવામાં આવે છે. સાધુ ટી.એલ. વાસવાણી એક મહાન કવિ, તત્વજ્ઞાની, સંત અને ગરીબોના સેવક હતા.
૧૯૩૩ માં વાસવાણીજીએ 'મીરા મુવમેન્ટ ઇન એજયુકેશન' નો પાયો નાખ્યો અને હૈદરાબાદમાં કન્યા માટે 'સેન્ટ મીરા સ્કુલ' ની સ્થાપના કરી. તેઓએ કન્યા કેળવણી પર ભાર મુકયો. કારણ કે તેઓ માનતા હતા કે જે ઘરમાં સ્ત્રી શિક્ષિત હશે તે આખુ કુટુંબ શિક્ષિત બનશે. તેઓ અભ્યાસમાં ચારિત્ર્ય નિર્માણ પર ભાર મુકતા. સાદગી સેવા પવિત્રતા અને પ્રાર્થના તેમના મુખ્ય ચાર સિધ્ધાંતો છે. હાલમાં સાધુ વાસવાણી મિશન માનવજાતની સેવા માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને ચેરીટેબલ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં કાર્યરત છે.
સાધુ ટી. એલ. વાસવાણીના જન્મ દિવસ ૨૫ નવેમ્બરને માંસ રહીત દિન તરીકે ઉજવવા અને દાદાજીનો આ સંદેશ શકય એટલા વધુને વધુ લોકો સુધી પહોંચાડવા સાધુ વાસવાણી સેન્ટર (સૌરાષ્ટ્ર) રાજકોટ (ફોન ૦૨૮૧ ૨૪૫૪૧૫૮) દ્વારા અપીલ કરાઇ છે.