ન્યુ રાજદીપ સોસાયટીમાં માતા-પિતાની નજર સામે જ પુત્ર દિગંતસિંહ રાઠોડનો આપઘાત
યુવાને ઘરકંકાસથી કંટાળી ઝેરી દવા પી લીધી હોવાનું ખુલ્યું : પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી
રાજકોટ તા. ૨૧ : ચાલીસ ફૂટ રોડ ન્યુ રાજદીપ સોસાયટીમાં રહેતા યુવાને માતા-પિતાની નજર સામે જ ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી વિગત મુજબ ૪૦ ફૂટ રોડ પર ન્યુ રાજદીપ સોસાયટીમાં રહેતા દિગંતસિંહ પ્રવિણસિંહ રાઠોડ (ઉ.વ.૩૫) પોતાના ઘરે હતા ત્યારે તેના માતા-પિતાની સામે ઝેરી દવા પી લેતા તેને તાકિદે ૧૦૮ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. રમેશભાઇ ચૌહાણ તથા રાઇટર રમેશભાઇ મકવાણાએ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક દિગંતસિંહ ગેરેજમાં કામ કરતા હતા. તેણે ઘરકંકાસના કારણે આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્યું છે. પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.