ભગવતીપરા પુલ નીચે આવેલા ઉગતાપોરની મેલડી માતાજી અને રામાપીરના મંદિરના તાળા તોડી ચોરી
બે દાનપેટીમાંથી આઠેક હજારનું પરચુરણ ચોરાયું: સવાર-સાંજ પુજાપાઠ કરતાં લત્તાવાસીઓમાં બનાવથી રોષ
રાજકોટ તા. ૨૧: ભગવતીપરા ઓવરબ્રીજ નીચે આવેલા શ્રી ઉગતાપોરની મેલડી માતાજીના મંદિર તથા શ્રી રામાપીરના મંદિરના તાળા તોડી કોઇ બે દાનપેટીમાંથી પરચુરણ ચોરી જતાં આસપાસના શ્રધ્ધાળુઓમાં રોષ ફેલાઇ ગયો હતો.
વિસ્તારના દર્શનાર્થી ધીરૂભાઇ મકવાણા સવારે નિત્યક્રમ મુજબ દર્શનાર્થે આવ્યા ત્યારે બહારના દરવાજાના અને અંદરના દરવાજાના તાળા તુટેલા જોવા મળ્યા હતાં. તપાસ કરતાં દાનપેટી પણ તૂટેલી હતી. તેના કહેવા મુજબ અંદાજે આઠેક હજારનું પરચુરણ ચોરાઇ ગયું છે. તેણે કહ્યું હતું કે વર્ષોથી અહિ આ મંદિર છે. મોટી સંખ્યામાં આસપાસના રહેવાસીઓ અહિ દર્શને આવે છે અને અમે દરરોજ સવાર-સાંજે અહિ ધુપ દીવા કરીએ છીએ. રાત્રીના કે વહેલી સવારે કોઇએ તાળા તોડી હાથફેરો કર્યાની શકયતા છે. આ અંગે પોલીસને જાણ કરવા તજીવીજ કરી હતી. તસ્વીરમાં મંદિર અને તૂટેલા તાળા જોઇ શકાય છે.