પ્રતિષ્ઠીત ‘સોમા'ના પ્રમુખ પદની ચૂંટણીમાં સમીર શાહનો પરાજયઃ કિશોર વિરડીયાનો વિજય
કુલ ૧૩૦ મતોમાંથી કિશોર વિરડીયાને ૧૦૦ તો સમીર શાહને રર મત મળ્યાઃ ૮ મત રદ થયાઃ સમીર શાહને પુર્વ પ્રમુખનો સાથ છોડવાની કિંમત ચુકવવી પડી? ઓઇલ મીલરોમાં જબરી ચર્ચા : અગાઉ ર૩ સભ્યોની કારોબારી બિનહરીફ ચૂંટાઇ આવી હતીઃ હવે ૯૮ મતોનો વિવાદઃ ર૯મીએ હાઇકોર્ટના ચુકાદા તરફ મીટઃ ચૂંટણીએ ભારે ઉતેજના જગાવી હતી
રાજકોટ તા. ર૧ : સૌરાષ્ટ્ર ઓઇલ મીલ્સ એસોસીએશન એટલે કે સોમાની કારોબારી બિનહરીફ થયા બાદ પ્રમુખપદ માટે યોજાયેલી ચૂંટણીમાં ગોંડલના ઓઇલ મીલર કિશોરભાઇ વિરડીયાનો હાથ ઉપર રહ્યો છે. આજે પ્રમુખપદ માટેની ચૂંટણીની મત ગણતરી યોજાતા કુલ ૧૩૦ સભ્યોમાંથી ૧૦૦ મત કિશોર વિરડીયાને, રર મત સમીર શાહને મળ્યા હતા. કુલ ૮ મત બાદ થયા હતા.
તેલ-તેલીબીયા સાથે જોડાયેલ તેલ ઉદ્યોગના ઓઇલ મીલરોની સંસ્થા સોમાની ચૂંટણીની મત ગણતરી આજે સવારે જામનગર ખાતે ચેરીટી કમીશ્નરના આદેશ અન્વયે યોજવામાં આવી હતી. મત ગણતરી યોજાતા મોટા ભાગના ઓઇલ મીલરોએ કિશોર વિરડીયાને સમર્થન કર્યું હતુ. અને તેમને પ્રમુખ તરીકે ચૂંટી કાઢયા હતા. ૭ વર્ષ બાદ સોમાના સુકાની બદલાયા છે.
દરમિયાન ઓઇલ મીલરોમાં એવુ ચર્ચાય છે કે સમીર શાહે પુર્વ પ્રમુખનો સાથ છોડયો તેનું આ પરીણામ કહી શકાય. ઓઇલ મીલરોનો એક વર્ષ ખુલ્લેઆમ આવુ જણાવી રહયું છે.
અત્રે એ નોંધનીય છે કે હજુ આ ચૂંટણી આડે વિવાદ ઉભો જ છે વિવાદીત ૯૮ મત અંગે હાઇકોર્ટનો ચુકાદો ર૯મીએ આવવાનો છે ત્યારે એ ચુકાદા પર સોમાનું ભાવિ સંકળાયેલું છે. ૭૩ એસોસીયેટ ચેમ્બર તથારપ નવા સભ્યોના બેલેટ પેપરો આવી ગયા છે. ત્યારે આગણતરી પરિણામ પલ્ટી શકે છે ર૯મીએ સાચી ખબર પડશે.
અત્રેએનોંધનીય છે કે કોરોના મહામારીને કારણે આ ચૂંટણી બેલેટ પેપર મતદાનથી કરવામાં આવી હતી જોકે ર૩ સભ્યોની કારોબારી અગાઉ બીનહરીફ થઇ હતી. ભારે વિવાદ અને ચર્ચાસ્પદ બનેલી સોમાની ચૂંટણીએ ઓઇલ મિલરોમાં ભારે ચર્ચા જગાવી હતી. આ ચૂંટણીમાં ૧૦૦ ટકા મતદાન થયું હતું.
જો કે અમુક ઓઇલ મિલરોનું કહેવું છે કે હાઇકોર્ટમાં ર૯મીએ મામલો નીકળી જશે તેવી આશા છે.
સોમાનું સભ્યપદ વધારવાને પ્રાધાન્યઃ ઘેર-ઘેર શુધ્ધ સીંગતેલ પહોંચે તેવા પ્રયાસો થશેઃ
નવા પ્રમુખ કિશોરભાઇ વીરડીયાની અકિલા સાથે વાતચીત
રાજકોટઃ સોમાના નવા પ્રમુખ કિશોરભાઇ વીરડીયાએ આજે બપોરે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને ધીંગી બહુમતીથી ચુંટી કાઢવા બદલ સોમાના તમામ સભ્યોનો હું આભાર માનુ છું. તેમણે કહયું હતું કે અમે હવે સોમાનું સભ્યપદ કે જે હાલ ૧૩૦ં નું છે તે જેમ બને તેમ વધે તેવા પ્રયાસ કરશું. એટલું જ નહી નવી સીઝન આવી રહી છે ત્યારે નાનામાં નાના લોકો સુધી શુધ્ધ સીંગતેલ પહોંચે તેવા પ્રયાસો કરશું. ભેળસેળ ન થાય તે માટેની પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવશું. સોમાને પુનઃ ધમધમતી કરી તેના જોરદાર પડઘા પડે તેવી નમુનેદાર સંસ્થા બનાવાશે.
પરિણામને કાયદાકીય રીતે પડકારી શકાય તેમ છેઃ સમીર શાહ
રાજકોટઃ રાજકોટની ઇન્ડસ્ટ્રીઝના સમીર શાહે ચૂંટણી અધિકારીને એક પત્ર લખી જણાવ્યું છે કે, આજરોજ સામાન્ય ચૂંટણીનું ૧૩૦ સભ્યોના મતોની ગણત્રી થઇ તેમાં અનેક બેલટ પેપર અમોને Scan કરેલ લાગતા અમો તે પરિણામને કાયદાકીય રીતે પડકારવાના તમામ હક્કો કાયમ રાખીને સ્વીકારીએ છીએ જેની તમોને આ પત્ર દ્વારા જાણ કરીએ છીએ.