રાજકોટ
News of Monday, 21st September 2020

રાજકોટ સિવીલ સારવાર નહિ, વિવાદના લીધે ચર્ચામાં......

અનેક કિસ્સામાં રાજકોટની સિવીલ-કોવિડ હોસ્પિટલમાં જે સારવાર મળે છે તે લખલૂટ ખર્ચે પણ ખાનગીમાં ન મળી શકે : વિવાદોના લીધે હોસ્પિટલનું જમાપાસુ ઢકાઇ જાય છે અને નકારાત્મક બાજુ જ મચાવે છે શોર

રાજકોટ તા.૨૧, કોરોનાના કેસને લઈ હાલ રાજકોટ પર સમગ્ર રાજયની નજર છે. મુખ્યમંત્રીના હોમટાઉન એવા રાજકોટમાં કોરોનાના કેસ જે હદે વધી રહ્યા છે અને ખાસ કરીને મૃત્યુનો આંકડો ખુબ જ ચિંતાજનક રીતે વધી રહ્યો છે માટે જ આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ રાજકોટ ૨ વખત રોકાઇ ગયા. કોરોનાની આ વિકટ પરિસ્થિતિમાં રાજકોટ સિવિલ હોસ્પિટલની ભૂમિકા અત્યંત મહત્વની બની રહે છે પણ અફસોસની વાત એ છે કે રાજકોટની સિવિલ હોસ્પિટલ તેની શ્રેષ્ઠતમ સારવારના બદલે કોઈને કોઈ વિવાદને લઈને જ સતત ચર્ચામાં રહે છે. અહીં સારવાર લઈ કેટલા દર્દીઓ તંદુરસ્ત થઈ બહાર નિકળ્યા હશે તે તો ખબર નહીં પણ એટલું ચોકકસ કહી શકાય કે રોજ અહીં કોઈને કોઈ વિવાદના સમાચાર ચોકકસપણે બહાર આવી રહ્યા છે.

 હાલમાં સિવિલ હોસ્િ૫ટલ વિડીયો કિલપને લઈ ખુબ વિવાદમાં છે. કોરોનાની સારવાર માટે અહીં દાખલ પ્રભાકર પાટીલ નામના દર્દી પર સવાર થઈ તેને માર મારવામાં આવી રહ્યાની વિડીયો કિલપ વાયરલ થઈ અને બાદમાં માલુમ પડયું કે આ દર્દીનું મોત થઈ ગયું છે જેને લઈ ભારે ઉહાપો જાગ્યો છે. આ મામલે સિવિલ હોસ્પિટલનાં સત્ત્।ાધીશોએ એવી સ્પષ્ટતા કરી છે કે તા.૯ના બનાવની આ વિડીયો કલીપ છે પરંતુ તે પૂર્વે આ દર્દીએ હોસ્પિટલમાં ખુબ જ ઉધમ મચાવી હતી અને તેને અંકુશમાં લેવા માટે હોસ્પિટલનાં સ્ટાફને બળજબરી કરવાની ફરજ પડી હતી. હવે આ મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે. વિડીયો વાયરલ કરવાના પ્રકરણમાં એમ્બ્યુલન્સ સંચાલક, મહિલા સહિત ત્રણની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ કરી છે હજુ આગામી દિવસોમાં વિડીયો કલીપ પ્રકરણમાં પોલીસ દ્વારા શું ૫ગલા લેવામાં આવશે તે સમય જ કહેશે પરંતુ આ પ્રકરણે સિવિલ હોસ્પિટલની કાર્યપઘ્ધતિ સામે વધુ એકવાર સવાલ ખડા કરી દીધા છે.

 રાજકોટની સિવિલ હોસ્પિટલમાં માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી દર્દીઓ સારવાર લેવા આવે છે માટે આ હોસ્પિટલનું મહત્વ સમજી શકાય છે અહીં સારવાર લેવા આવનાર દર્દીઓમાં મોટાભાગનો વર્ગ આર્થિક રીતે સઘ્ધર ન હોય તે સ્વાભાવિક છે. જે લોકોને ખાનગી હોસ્પિટલનો ખર્ચ પરવડી શકે તેમ ન હોય તેઓને ફરજીયાતપણે સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી પડતી હોય છે આવી સ્થિતિમાં સરકારી હોસ્પિટલની જવાબદારી ખુબ જ વધી જતી હોય છે. અમુક કિસ્સાઓમાં જયારે દર્દીઓની હાલત અતિગંભીર હોય અને કોઇ ખાનગી હોસ્પિટલ તેને સંભાળવા તૈયાર ન હોય તેવી સ્થિતિમાં પણ આવા દર્દીઓ માટે સરકારી હોસ્પિટલ જ એકમાત્ર વિકલ્પ બની રહે છે ત્યારે સરકારી હોસ્પિટલ કેટલું મહત્વ રાખે છે તે બાબત સમજી શકાય છે.

 રાજકોટની સિવિલ હોસ્પિટલની સારવાર સામે વખતોવખત પ્રશ્ર્નો ઉઠતા રહ્યા છે પરંતુ તેનો મતલબ એ નથી કે અહીં યોગ્ય સારવાર આપવામાં આવતી નથી અનેક કિસ્સાઓમાં જે સારવાર ખાનગી હોસ્પિટલોમાં લખલુંટ નાણા ખર્ચીને પણ ન મળી શકે તેવી ઉમદા સારવાર સરકારી હોસ્પિટલમાં આપવામાં આવે છે. કોરોના કાળ વચ્ચે સૌથી વધુ દર્દીઓની સારવાર કોઈ કરી રહી હોય તે સરકારી હોસ્પિટલ જ છે અને અનેક દર્દીઓ સાજા થઈ ઘરે પરત પણ ચાલ્યા ગયા છે માટે સરકારી હોસ્પિટલની સારવાર બિલકુલ નિમ્ન કક્ષાની છે તેવું કયારેય ન કહી શકાય પણ સાથોસાથ એ પણ સત્ય છે કે અહીંના મેનેજમેન્ટની કેટલીક બેદરકારીઓના લીધે સરકારી હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવે છે અને આવા વિવાદોના લીધે હોસ્પિટલનું જમાપાસુ ઢકાઈ જાય છે અને નકારાત્મક બાજુ લોકો સમક્ષ ઉજાગર થાય છે.

 કોરોનાને સાઈડમાં રાખીએ તો પણ રાજકોટની સિવિલ હોસ્પિટલ અગાઉ પણ કોઈને કોઈ વિવાદ સાથે જોડાયેલી રહી છે. અહીંના સિકયોરીટી સ્ટાફની વાત હોય કે તબીબો દ્વારા અપાતી સારવાર કે નર્સીંગ સ્ટાફનું  વર્તન કોઈને કોઈ બાબતે સિવિલ હોસ્પિટલ સતત વિવાદમાં અને સમાચારમાં રહે છે જોકે આની પાછળ એ વાત પણ એટલી જ સત્ય છે કે, ખાનગી અને મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલો કરતા સિવિલ હોસ્પિટલને વગોવવી સોફટ ટાર્ગેટ સમાન છે. ખાનગી હોસ્પિટલમાં તબીબોની બેદરકારી ભાગ્યે જ બહાર આવતી છે ત્યારે સરકારી હોસ્પિટલની નાની એવી ચુકમાં પણ ભારે શોરબકોર થતો હોય છે માટે રાજકોટની સરકારી હોસ્પિટલ સતત કોઈને કોઈ વિવાદમાં રહે છે જે જોતા એવું લાગી રહ્યું છે કે, આપણી આ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓ માટે સારવારના હબના બદલે સમાચારનું હબ હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે.

(11:46 am IST)