રાજકોટ
News of Monday, 21st September 2020

આર્થિક ભીંસથી કંટાળી કુતિયાણાના રોઘડામાં પ્રવિણ ઘરીયાનો આપઘાત

યુવાને ઝેરી દવા પી લેતાં રાજકોટમાં દમ તોડ્યોઃ બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૨૧: કુતિયાણાના રોઘડા ગામે રહેતાં પ્રવિણભાઇ હમીરભાઇ ઘરીયા (ઉ.વ.૩૫) નામના આહિર યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

પ્રવિણભાઇએ ગઇકાલે બપોરે બે વાગ્યે ઘરે ઝેર પી લેતાં પ્રથમ ઉપલેટા સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ઉપલેટા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર યુવાન બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. હાલમાં આર્થિક ભીંસ ઉદ્દભવી હોઇ તેના કારણે કંટાળીને આ પગલુ ભર્યાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવથી બે માસુમ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:43 am IST)