કોળી સમાજના મતદારોને રીઝવવા કોંગ્રેસ એક્શન પ્લાન ઘડવાના મૂડમાં :સૌરાષ્ટ્રના કોળી નેતાઓનું સંમેલન યોજશે
રાજકોટઃ કોંગ્રેસના કોળી સમાજના કદાવર નેતા કુંવરજીભાઇ બાવળિયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાતા કોળી સમાજના મતદારોને રીઝવવા કોંગ્રેસ એક્શન પ્લાન ઘડવાના મૂડમાં છે અને સૌરાષ્ટ્રનાં કોળી નેતાઓનું સંમેલન યોજવા તીયરીઓ હાથ ધરાઈ છે આગામી દિવસોમાં કોંગ્રેસમાં જોડાયેલાં કોળી સમાજનાં નેતાઓ એકઠા થવાનાં છે અને કોળી સમાજનાં ધારાસભ્યો, પ્રમુખો અને અગ્રણીઓ ભેગાં મળીને પ્લાન બનાવવાનાં છે.
મળતી વિગત મુજબ જિલ્લા અને તાલુકાનાં પદાધિકારીઓ સાથે કોળી સમાજનાં નેતાઓ સંમેલન કરવાનાં છે. આ ઉપરાંત આ સંમેલનમાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હાજરી આપવાનાં છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કુંવરજી બાવળિયા અગાઉ કોંગ્રેસથી નારાજ હતાં જેથી તેઓએ જસદણનાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો અને તેઓ બાદમાં ભાજપમાં જોડાયાં હતાં. ત્યારે કોંગ્રેસ દ્વારા કોળી સમાજનાં મતદારોને રિઝવવા માટે કોંગ્રેસે હવે નવી રણનીતિ ઘડી છે. કોંગ્રેસ કોળી સમાજનાં કોઇ મોટા માથાને કદાચ બાવળિયાનું સ્થાન આપી શકે તેવી સંભાવના છે.