રાજકોટના 'મલ્હાર' લોકમેળાનો ૪ કરોડનો વીમો
ઇશ્વરીયા પાર્ક ખાતે હાથથી ચાલતા ચકડોળ-જમ્પીંગ -ચકરડી માટે ર૪ સ્ટોલઃ રર થી ફોર્મ મળશે
રાજકોટ, તા., ર૦: રાજકોટના મલ્હાર લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ર૬ મીથી ડ્રો હરરાજી-સ્ટોલની ફાળવણી બધુ શરૂ થશે.
દરમિયાન રાજકોટ કલેકટર તંત્રે મલ્હાર લોકમેળાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ ૪ કરોડનો વીમો લીધો છે. જેમાં આગ, અકસ્માત, રાઇડો અંગે પાણી-તોફાની વરસાદ-વાવાઝોડુ તથા અન્ય કોઇ ડીઝાસ્ટર થાય તો વીમા કવચનું સુરક્ષા લેવાયું છે.
સુત્રોએ ઉમેર્યુ હતું કે હવે ટુંક સમયમાં વીજતંત્ર દ્વારા કેટલો પાવર કયાંથી આપવો, સફાઇ-ઇલેકટ્રીક તથા મંડપ કોન્ટ્રાકટ જે તે કમીટીના વડા ફાઇનલ કરશે.
ઇશ્વરીયા પાર્ક ખાતે પણ તા.રર થી ર૬ લોકમેળો યોજાનાર છે. જેમાં પાર્કીગનો ટુ વ્હીલર-ફોર વ્હીલરનો કોન્ટ્રાકટ અંગે ટેન્ડર બહાર પડયાનું કલેકટર તંત્રે ઉમેર્યુ હતું.
તો, ઇશ્વરીયા પાર્ક ખાતે હાથથી ચાલતી નાની ચકરડી, જમ્પીંગ, ચકડોળના ર૪ સ્ટોલ અંગે ફોર્મ જાહેર કરાયા છે. તા.રર જુલાઇથી ૩૧ જુલાઇ સુધીમાં મેળવી ભરી અને રાજકોટ તાલુકા મામલતદાર કચેરીમાં આપવાના રહેશે તેમ ઉમેરાયું છે.