ઓરી અને રૂબેલાની રસીના નામે બાળકોના જીવન સાથે ચેડા : અનડકટ-રાઓલ-મુંધવા
જો આ રસીની આડ અસર ન હોય તો તપાસના આદેશો શા માટે અપાયા?
રાજકોટ તા. ૨૧ : રાજય સરકાર દ્વારા બાળકોને ઓરી અને રૂબેલાની રસી આપવા હાથ ધરાયેલ અભિયાન એક નર્યુ નાટક હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખ રણજીત મુંધવા, ઉપપ્રમુખ ગોપાલભાઇ અનડકટ, ઇન્દુભા રાઓલે એક સંયુકત યાદીમાં જણાવેલ છે.
તેઓએ જણાવ્યુ છે કે ગુજરાતના ૧.૬૦ કરોડ બાળકોના જીવન સાથે રસીકરણના નામે ચેડા થઇ રહ્યા છે. ફરજીયાત રસી મુકાવવા સ્કુલમાં પરપત્રો ફરતા કરાયા છે. પરંતુ આ રસી મુકાયા બાદ અમરેલીના એક શૈક્ષણિક સંકુલમાં ૬૯ વિદ્યાર્થીઓની તબફીયત બગડી હતી. સુરેન્દ્રનગરમાં પણ શાળા નં. ૭ માં ૭ વિદ્યાર્થીઓની તબીયત ખરાબ થઇ હતી. આ માટે તપાસના આદેશો પણ કરવામાં આવ્યા છે. જો રસીકરણની આડ અસર નહોતી તો આવા આદેશો તાબડતોબ શા માટે કરાયા? તેવા સવાલો શ્રી રાઓલ, શ્રી મુંધવા અને શ્રી અનડકટે ઉઠાવ્યા છે.
વાલીઓએ ખોટા ભરમાઇ નહી જવા અને ફેમીલી ડોકટર કે એમ.ડી.ની સહાલ વગર આવી રસી નહી અપાવા કોંગ્રેસના આ ત્રણેય આગેવાનોએ અપીલ કરી છે. તેમજ આગામી દિવસોમાં જિલ્લા શિક્ષણાધિકારીને પણ રજુઆત કરાશે તેમ અંતમાં ગોપાલભાઇ અનડકટ, ઇન્દુભા રાઓલ, રાણજીત મુંધવાએ જણાવેલ છેે. (૧૬.૨)