વિમાની સેવામાં રાજકોટને ઘોર અન્યાય : મોટાભાગની ફલાઇટ બંધ
સામાજીક અગ્રણી રાજુ જુંજા દ્વારા કેન્દ્ર સરકારને પત્ર
રાજકોટ તા. ૨૧ : વિમાની સેવાઓમાં દિવસે ને દિવસે રાજકોટને ઘોર અન્યાય થઇ રહ્યો હોય આ અંગે સામાજીક અગ્રણી રાજુ જુંજાએ કેન્દ્ર સરકારને પત્ર પાઠવી રજુઆત કરી છે.
તેઓએ રજુઆત કરી છે કે રાજકોટની દિલ્હી મુંબઇ તરફ વેપાર ઉદ્યોગના કામે જનારાઓની સંખ્યા મોટી હોવા છતા ફલાઇટો વધારવાને બદલે ઘટાડવામાં આવી રહી છે. જેટ એરવેઝની ફલાઇટ એકાએક બંધ કરી દેવાતા રાજકોટ મુંબઇ અને રાજકોટ દિલ્હી વચ્ચે ફલાઇટની કનેકટીવીટી ઓછી થઇ ગયેલ છે. એર ઇન્ડિયાની રાજકોટ મુંબઇ અને રાજકોટ દિલ્હી વચ્ચે દરરોજ ફલાઇટ ઉપડે છે પરંતુ આવતા મહીનાથી રાજકોટ મુંબઇ વચ્ચે અઠવાડીયાની માત્ર ત્રણ ફલાઇટ કરી નખાતા વેપાર ધંધાને માઠી અસર પહોંચી શકે છે.
ફલાઇટના માધ્યમથી મુંબઇ, દિલ્હી વેપાર ધંધા અર્થે જતા વેપારીઓને મોટી નુકશાની સહન કરવી પડશે. આ બાબત ગંભીરતાથી લઇ તાત્કાલીક અસરથી રોજીંદી ફલાઇટની કનેકટીવીટી શરૂ કરવા અંતમાં રાજુ જુંજાએ માંગણી કરી છે.