પીજીવીસીએલ કોર્પોરેટ કચેરી ખાતે વિશ્વ યોગા દિનની ઉજવણી
રાજકોટ : આજરોજ વિશ્વયોગદિનની ઉજવણીના ભાગરૂપે અત્રેની કચેરીના કેમ્પસમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે સામુહિક યોગ કરાવવાનું આયોજન કરવામાં આવેલ તેના અનુસંધાને જાણીતા યોગપ્રશિક્ષક શ્રીમતી દર્શનાબેન પંડયાના માર્ગદર્શન હેઠળ યોગા કરવામાં આવેલ. યોગ પ્રશિક્ષક શ્રીમતી દર્શનાબેન પંડયાએ હાજર રહેલ અધિકારીઓ અને કર્મચારીઓને યોગને ભારતીય સંસ્કૃતિની પ્રાચીન બેજોડ સાધના સાથે સરખાવતા જણાવેલ કે યોગએ શારીરિક - માનસીક તથા લાગણીશીલતાની સમસ્યાઓના નિરાકરણ માટે તેમજ સ્વસ્થ તંદુરસ્ત જીવનશૈલી માટે પણ જરૂરી છે. નિયમીત યોગ સાધના થકી જીવનમાં તાણમાં ઘટાડો થાય છે, તે ઉપરાંત યોગ સાધના તંદુરસ્તી અને તાજગીપણ આપે છે. તેમજ આજની યોગા ફોર હાર્ટ કેરની થીમ ઉપર વિશેષમાં જણાવેલ કે નિયમીત પણે યોગ કરવાથી હૃદયની બીમારી જ નહી કોઇપણ રોગને ટાળી શકાય છે. માટે યોગને નિત્ય જીવનમાં સ્થાન આપવું જરૂરી છે. આજની આ યોગદિનની ઉજવણીમાં પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેકટરશ્રી ભાવિન પંડયા ચીફ એન્જીનીયર જે.જે. ગાંધી, એચ.પી. કોઠારી જનરલ મેનેજર કે.એસ. મલકાન, એ.જે. કટારા તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા.