ત્રણ માસ પહેલા આપઘાત કરનાર પતિના વિયોગમાં કનુબેન ગમારાનો પણ આપઘાત
વિનાયકનગરના ભરવાડ પરિણીતાએ ગળાફાંસો ખાઇ દુનિયા છોડી
રાજકોટ તા. ૨૧: મવડી પ્લોટ વિનાયકનગર-૬માં રહેતાં ભરવાડ પરિણીતાએ પતિના વિયોગમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ત્રણ મહિના પહેલા પિતા ગુમાવનારા બે માસુમ ભાઇ-બહેને હવે માતા પણ ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ છે.વિનાયકનગર-૬માં રહેતાં કનુબેન નિલેષભાઇ ગમારા (ઉ.૨૯) નામના ભરવાડ મહિલાએ ઘરે ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનોને જાણ થઇ જતાં બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગરમાં જાણ કરતાં પીએસઆઇ જે. કે. પાંડાવદરા અને પ્રશાંતસિંહ ગોહિલે જરૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર કનુબેનના પતિ નિલેષભાઇએ ત્રણેક મહિના પહેલા જ મોરબી રોડ પર ઝેર પી આત્મહત્યા કરી લીધી હતી. ત્યારથી કનુબેન ગુમસુમ રહેતાં હતાં. પતિનો વિયોગ સહન ન થતાં આ પગલું ભર્યાનું પરિવારજનોએ પોલીસની પ્રાથમિક પુછતાછમાં કહ્યું હતું. બનાવને પગલે ગમારા-ભરવાડ પરિવારમાંં શોક છવાઇગયો છે.