ઘાતક હથીયારો રાખવાના ગુનામાં પકડાયેલ આરોપીઓનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ
રાજકોટ, તા., ૨૧: ઘાતક હથીયારો રાખવાના ગુનામાં પકડાયેલ આરોપીઓ સામેનો કેસ ચાલી જતા અદાલતે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.
આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે રાજકોટના રહેવાસી મનીષભાઇ જેરામભાઇ પટેલ તેમજ જેરામભાઇ શામજીભાઇ પટેલને રાજકોટ શહેરના સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ગોહીલે તેમના પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જેથી તેઓ ફરતા ફરતા સોરઠીયા વાડી ચોકથી દેવપરા જતા રસ્તામાં કમલેશ્વર મંદીર પાસે આવતા ત્યાંથી એક નંબર પ્લેટ વગરનું બુલેટ વાહનમાં બે શખ્સો જતા હોય જેના પર શંકા જતા તે બન્નેને પકડી ઉભા રાખી બુલેટ ચલાવનારનું તેમજ પાછળ બેઠેલ શખ્સનું નામઠામ પુંછતા મનીષ જેરામભાઇ પટેલ તેમજ જેરામભાઇ શામજીભાઇ પટેલ જણાવેલ જે બન્ને શખ્સોની પંચો રૂબરૂ અંગ જડતી કરતા મનીષ જેરામભાઇના પેન્ટના જમણી તરફના નેફામાંથી એક દેશી બનાવટનો ૩ર બોરનો દેશી બનાવટનો લોખંડનો તમંચો મળી આવેલ. જેથી આરોપીઓની ઘટના સ્થળેથી જ ધરપકડ કરી તેના વિરૂધ્ધ આર્મ્સ એકટની કલમ રપ (૧) બીએ મુજબ એફ.આઇ.આર. નોંધી કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ.
આ કેસ તાજેતરમાં રાજકોટના જજ શ્રી બી.આર.રાજપુતની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે કુલ ૯ સાક્ષી પુરાવાઓ તપાસવામાં આવેલ. જેની બચાવ પક્ષના વકીલશ્રી દ્વારા ઉંડાણપુર્વક ઉલટ તપાસ કરવામાં આવેલ અને તમામ પુરાવાઓના અંતે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ બચાવ પક્ષની તમામ દલીલો માન્ય રાખી કોર્ટે મનીષ જેરામભાઇ પટેલ તેમજ જેરામભાઇ શામજીભાઇ પટેલને તેના પરના આરોપોમાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.
આ મહત્વના ચુકાદામાં આરોપી તરફે વકીલશ્રી પિયુષ જે. કારીયા, પ્રદ્યુમનસિંહ એમ.જાડેજા, મોહીત લીંબાસીયા, સચીન એમ.તેરૈયા તથા કેવલ જે.પુરોહીત રોકાયેલ હતા.