રાજકોટ
News of Tuesday, 21st May 2019

હરેશ નામના બે યુવાને ફાંસો ખાઇ જીવ દીધોઃ એકની પત્નિ રિસામણે હતી એ માટે ને બીજામાં કારણ અકળ

કુબલીયાપરાના દેવીપૂજક પરિવાર અને નટરાજનગરના વાલ્મિકી પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૧: શહેરના જુદા-જુદા વિસ્તારમાં હરેશ નામના બે યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. એકની પત્નિ રિસામણે હતી એટલે આવું પગલું ભર્યુ હતું. બીજામાં કારણ બહાર આવ્યું નથી. બંનેના સ્વજનોમાં આ બનાવથી ગમગીની છવાઇ ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ કુબલીયાપરામાં છગનભાઇ લાકડાવાળાની બાજુમાં રહેતાં હરેશભાઇ મગનભાઇ રાઠોડ (ઉ.૩૨) નામના દેવીપૂજક યુવાને લાકડાની આડીમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં ભત્રીજી બારીમાંથી જોઇ જતાં દેકારો મચાવતાં સ્વજનો ભેગા થઇ ગયા હતાં. ૧૦૮ના ઇએમટી ધીરૂભાઇ આહિરે જાણ કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ ઝાલાએ થોરાળા પોલીસને મેસેજ આપ્યો હતો.

એએસઆઇ ગોકુળભાઇ વાસાણીએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર હરેશભાઇ ડેલમાં મજૂરી કરતો હતો. તેને ત્રણ સંતાન છે. પત્નિ રિસામણે ગઇ હોઇ જેના કારણે આ પગલું ભર્યાનું ખુલ્યું હતું.

બીજા બનાવમાં સાધુ વાસવાણી રોડ પર નટરાજનગરમાં રહેતાં અને છુટક સફાઇ કામ કરતાં હરેશ લવજીભાઇ બેરડીયા (ઉ.૨૫) નામના વાલ્મિકી યુવાને ગઇકાલે બપોર બાદ ઘરમાં ચુંદડીથી ગળાફાંસો ખાઇ લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે જાણ કરતાં યુનિવર્સિટીના હેડકોન્સ. ભગીરથસિંહ ખેરએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર હરેશભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજો હતો. ગયા વર્ષે જ તેના જ્યોતિ નામની યુવતિ સાથે લગ્ન થયા હતાં. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. 

હરેશભાઇના મૃતદેહને અંતિમવિધી માટે તેના વતન ભાવનગરના મહુવાના મોટા ખુંટવડા ગામે લઇજવાયો હતો.

(11:47 am IST)