રાજકોટ
News of Tuesday, 21st May 2019

ટુવ્હીલર સ્લીપ થતાં ટૂર ટ્રાવેલ્સના સંચાલક પાળ ગામના ભરતભાઇ વિઠ્ઠલાપરાનું મોત

મવડી ચોકડીએ આવેલી મહાકાળી ટૂર્સ નામની ઓફિસેથી રાત્રે ઘરે જતી વખતે પાળ રોડ પર બનાવ

રાજકોટ તા. ૨૧: પાળ રોડ પર પેટ્રોલ પંપ નજીક રાત્રીના સાડા નવેક વાગ્યે ટુવ્હીલર સ્લીપ થઇ જતાં મવડી ચોકડીએ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ ધરાવતાં પાળના વ્યાસ આધેડનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ લોધીકાના પાળ ગામે રહેતાં ભરતભાઇ ધીરૂભાઇ વિઠ્ઠલાપરા (વ્યાસ) (ઉ.૪૫) રાત્રે સાડા નવેક વાગ્યે રાજકોટ મવડી ચોકડીથી પોતાનું એકસેસ હંકારીને ઘરે જઇ રહ્યા હતાં ત્યારે પાળ રોડ પર લિરબાઇ પેટ્રોલ પંપ સામેના રોડ પર સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા અને અક્ષય ડાંગરે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ભરતભાઇ બે ભાઇ અને બે બહેનમાં બીજા હતાં. સંતાનમાં ૧૬ વર્ષની પુત્રી અને ૧૨ વર્ષનો પુત્ર છે. જેણે પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. ભરતભાઇ મવડી ચોકડીએ મહાકાળી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામે ઓફિસ રાખી ધંધો કરતાં હતાં.

(10:39 am IST)