કરણી સેના દ્વારા રાજકોટથી કોડીનાર સુધી રાજપૂત સમાજની બાઈક - કાર રેલીને પ્રસ્થાન
રાજકોટ : સમગ્ર રાજપૂત સમાજના સર્વાંગીગણ ઉત્કર્ષ અને એકતા માટે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા રાજકોટથી કોડીનાર સુધીની મોટરકાર - બાઈક રેલીનું આયોજન કરાતા આજે સવારે માધાપર ચોકડી, રાજકોટથી પ્રસ્થાન કરાવાયુ હતું. ૪૦૦થી વધુ બાઈક અને ૧૦૦થી વધુ મોટરકાર સાથેની આ રેલીના પ્રસ્થાન બાદ કે.કે.વી. સર્કલ પાસે કાર્યાલય ખુલ્લૂ મુકાયુ હતું. સાંજે ૫ વાગ્યે આ રેલી કોડીનાર પહોંચશે. જયાં ગુજરાત રાજપૂત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાશે. રાજપૂત કરણી સેનાના આગેવાનોએ જણાવેલ કે સમસ્ત રાજપૂત સમાજની એકતા અને ઉત્કર્ષ માટે આ રેલીનું આયોજન કરાયુ છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંગ ગોગામેડીના હસ્તે કાર્યાલય ખુલ્લુ મુકાયા બાદ આ રેલી રામાપીર ચોકડી, રૈયા ચોકડી, કેકેવી સર્કલ થઈ નિયત રૂટ ઉપર આગળ વધી હતી. સાંજે ૫ વાગ્યે કોડીનારમાં જાહેરસભા અને રાત્રે લોકડાયરાનું પણ આયોજન થયુ હોવાનું કરણી સેનાની યાદીમાં જણાવાયુ છે. આજે સવારે કાર્યાલય પ્રારંભ અને રેલી પ્રસ્થાન સમયની તસ્વીરો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)