રાજકોટ
News of Monday, 21st May 2018

કરણી સેના દ્વારા રાજકોટથી કોડીનાર સુધી રાજપૂત સમાજની બાઈક - કાર રેલીને પ્રસ્થાન

રાજકોટ : સમગ્ર રાજપૂત સમાજના સર્વાંગીગણ ઉત્કર્ષ અને એકતા માટે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા રાજકોટથી કોડીનાર સુધીની મોટરકાર - બાઈક રેલીનું આયોજન કરાતા આજે સવારે માધાપર ચોકડી, રાજકોટથી પ્રસ્થાન કરાવાયુ હતું. ૪૦૦થી વધુ બાઈક અને ૧૦૦થી વધુ મોટરકાર સાથેની આ રેલીના પ્રસ્થાન બાદ કે.કે.વી. સર્કલ પાસે કાર્યાલય ખુલ્લૂ મુકાયુ હતું. સાંજે ૫ વાગ્યે આ રેલી કોડીનાર પહોંચશે. જયાં ગુજરાત રાજપૂત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાશે. રાજપૂત કરણી સેનાના આગેવાનોએ જણાવેલ કે સમસ્ત રાજપૂત સમાજની એકતા અને ઉત્કર્ષ માટે આ રેલીનું આયોજન કરાયુ છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંગ ગોગામેડીના હસ્તે કાર્યાલય ખુલ્લુ મુકાયા બાદ આ રેલી રામાપીર ચોકડી, રૈયા ચોકડી, કેકેવી સર્કલ થઈ નિયત રૂટ ઉપર આગળ વધી હતી. સાંજે ૫ વાગ્યે કોડીનારમાં જાહેરસભા અને રાત્રે લોકડાયરાનું પણ આયોજન થયુ હોવાનું કરણી સેનાની યાદીમાં જણાવાયુ છે. આજે સવારે કાર્યાલય પ્રારંભ અને રેલી પ્રસ્થાન સમયની તસ્વીરો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:12 pm IST)