રાજકોટ
News of Monday, 21st May 2018

મોડી રાત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલે દલિત સમાજના ટોળાઃ વહેલી સવારે માંગણી સંતોષાતા લાશ સ્વીકારાઇ

આરોપીઓની તાત્કાલીક ધરપકડઃ સમાજ કલ્યાણ ખાતા તરફથી ૯ લાખની સહાયઃ સાંથણી પ્રમાણે જમીન આપવા સહિતની માંગણીઓ સંતોષાઇ

રાજકોટ તા. ૨૧: શાપર વેરાવળમાં શિતળા મંદિર આસપાસના કારખાનાઓ પાસે ભંગાર વિણવા ગયેલા શાપર મારૂતિ પાર્કના મુકેશ સવજીભાઇ વાણીયા (ઉ.૪૦) નામના ચમાર યુવાનને કારખાનેદાર અને તેના માણસોએ બાંધીને બેફામ માર મારતાં તે બેભાન થઇ જતાં રાજકોટ ખસેડાયો હતો. તેનું મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દલિત સમાજના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. આરોપીઓ તાકીદે ન પકડાય અને મૃતકના પરિવારજનોને આર્થિક સહાય ન મળે ત્યાં સુધી લાશ નહિ સ્વીકારવાનો નિર્ણય લેવાતાં મોડી રાતે તંગદિલી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જો કે વહેલી સવારે પાંચ વાગ્યે માંગણીઓ સંતોષાઇ જતાં મૃતદેહ સ્વીકારી લેવામાં આવ્યો હતો.

દલિત સમાજના કમલેશભાઇ મકવાણાએ જણાવ્યું હતું હત્યાનો ભોગ બનેલા મુકેશ વાણીયા બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં અને પત્નિ સાથે ભંગાર વીણી ગુજરાન ચલાવતાં હતાં. તેને સંતાનમાં ૪ વર્ષનો એક પુત્ર અને આઠ વર્ષની એક પુત્રી છે. તેના પિતા હયાત નથી. માતાનું નામ રતનબેન છે. મુકેશના પત્નિ જયાબેનને લિવરની બિમારી છે. પત્નિ-સંતાનો નોધારા થઇ ગયા હોઇ તેના ભરણપોષણ માટે તાકીદે આર્થિક સહાય મળવી જોઇએ અને સાંથણી પ્રમાણે જમીન મળવી જોઇએ તેમજ આરોપીઓને તાકીદે ઝડપી લેવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી હતી. હોસ્પિટલ ખાતે મોડી રાત્રે રાજકોટ, ગોંડલ સહિતના સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ જતાં પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો હતો.

કમલેશભાઇએ વિશેષમાં જણાવ્યું હતું કે સમાજ કલ્યાણ ખાતા તરફથી ૯ લાખની સહાય મંજુર થઇ હતી. જેમાં સાડા ચાર લાખનો ચેક આજે અપાશે અને બાકીના સાડા ચાર લાખનો ચેક અઠવાડીયા પછી અપાશે. તેમજ જયાબેનની સારવારનો તમામ ખર્ચ પણ આપવામાં આવશે અને ખેતી માટે સાંથણી પ્રમાણે જમીન આપવાની ખાત્રી પણ મળતાં અંતે લાશ સ્વીકારી લેવામાં આવી છે. શાપરના પી.એસ.આઇ. સિંધુએ જણાવ્યું હતું કે વહેલી સવારે મૃતદેહ સ્વીકારી લેવાયો છે. (૧૪.૯)

(12:18 pm IST)