કોરોના સંક્રમણના કારણે બેંકોનો સમય ઘટાડી દેવાતા ગ્રાહકોને હાલાકી
ગ્રેટર ચેમ્બર દ્વારા રીઝર્વ બેંક અને નાણામંત્રીને રજુઆત
રાજકોટ તા. ૨૧ : કોરોના મહામારીની અસરથી બેંકોમાં ૫૦ ટકા સ્ટાફથી કામ લેવાતા તેમજ બેંકોના કામનો સમય ઘટાડી નાખવામાં આવતા ગ્રાહકોના કામો અટકી પડતા હોય આ બાબતે ગંભીરતાથી વિચારી ગ્રાહકોને ઓછી અગવડ પડે તેવા વિકલ્પો અમલી બનાવવા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રીઝર્વ બેંક અને નાણામંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવ્યુ છે કે બેંકોની નાની બ્રાન્ચોમાં એક તો પહેલેથી જ સ્ટાફની સંખ્યા મર્યાદીત હોય છે. ત્યાં થોડો સ્ટાફ સંક્રમિત થતા બ્રાન્ચનું સંપૂર્ણ કાર્ય ખોરંભે પડી જાય છે. પરિણામે જે તે શાખાના ગ્રાહકોને મુશ્કેલી ઉભી થાય છે. આવુ મોટી શાખાઓનું છે. મોટી શાખાઓમાં સ્ટાફ તો ઘણો હોય છે. પરંતુ જયારે એકલ દોકલ કર્મચારી સંક્રમિત થાય તો ભયભીત બની આખી શાખાનું કામ બંધ કરી દેવામાં આવે છે.
પરિણામે વેપાર ઉદ્યોગના બેંકને લગતા કામો ખોરંભે ચડી જાય છે. આર્થિક વ્યવહારો અટકી પડતા તેની નાના માણસો સુધી અસર થાય છે. જેથી આ બાબતે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા વિચારવા અને ગ્રાહકોને ઓછી અગવડ પડે તેવુ આયોજન ઘડી કાઢવા ગ્રેટર ચેમ્બર દ્વારા રજુઆતના અંતમાં માંગણી ઉઠાવવમાં આવી છે.