જુનાગઢના નિમીષ પુરોહિતે રાજકોટના મંગળા રોડ પર રહેતાં વણિક વૃધ્ધાને છેતરી ૧.૮૦ લાખની ચાર બંગડી બઠ્ઠાવી લીધી હતી
રૂરલ એસઓજીએ પકડેલા ગઠીયાએ રાજકોટમાં પણ લખણ ઝળકાવ્યા હતાં
રાજકોટ તા. ૨૨: થોડા દિવસ પહેલા રૂરલ એસઓજીએ જુનાગઢના નિમીષ ઉર્ફ નૈમિષ રસિકલાલ પુરોહિત (ઉ.૪૯) નામના બ્રાહ્મણ પ્રોૈઢને વૃધ્ધોના ઘરે જઇ છેતરપીંડીથી સોનાના દાગીના લઇ જવાના ગુનામાં ધોરાજીથી પકડયો હતો. આ શખ્સ ઘરે એકલા હોય તેવા વૃધ્ધાઓ પાસે જઇ પોતે તેના દુરના સગાનો દિકરો છે...ઓળખે છે...તેવી ખોટી વાતો કરી વિશ્વાસ ઉભો કરી સોનાની બંગડીઓ દાગીના જોવા માંગી પોતાના સગા માટે પણ આવા જ દાગીના બનાવવા છે...તેમ કહી નમુના માટે દેખાડવા લઇ જવાના બહાને ઠગાઇ કરવાના ગુનામાં પકડ્યો હતો. આ શખ્સ હાલ ધોરાજી પોલીસ પાસે રિમાન્ડ પર છે. તેણે ગત ઓગષ્ટ મહિનામાં રાજકોટમાં પણ એક વૃધ્ધાને છેતરી રૂ. ૧,૮૦,૦૦૦ની ચાર બંગડીઓ ઠગાઇથી મેળવી લીધાનું ખુલતાં એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તેનો કબ્જો મેળવવા તપાસ હાથ ધરી છે.