રાજકોટ
News of Thursday, 21st March 2019

જુના મનદુઃખમાં લાંબા સમયથી ચાલતી માથાકુટનો હત્યા સાથે અંત હોળીની રાત્રે હિસ્ટ્રીશીટરના સાગ્રીત પાર્થરાજસિંહ ઉર્ફ ગટીયો જાડેજાને છરીના ૧૨ ઘા ઝીંકી ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતે ક્રુરતાથી રહેંસી નાંખ્યોઃ આરોપીઓ હાથવેંતમાં

તાલુકા પોલીસે ગણત્રીના કલાકોમાં ભેદ ઉકેલ્યોઃ હત્યા પાછળ છેડતીની વાતો સોશિયલ મિડીયામાં વહેતી થઇ, પરંતુ ફરિયાદમાં આવો કોઇ ઉલ્લેખ નથી

રાજકોટ : હોળીના પર્વની રાત્રે  મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પુનિતનગર પાણીના ટાંકા પાસે કુખ્યાત શકિતસિંહ ઉર્ફ પેંડાના સાગ્રીત પાર્થરાજસિંહ ઉર્ફ ગટીયો હરદેવસિંહ જાડેજા (ઉ.વ.૨૪)ને પુનિતનગર વૃંદાવન સોસાયટી-૧૫માં રહેતાં રિક્ષાચાલક દરબાર શખ્સ ધર્મેન્દ્રસિંહ મહિપતસિંહ ઝાલા, તેના સગીર પુત્ર સહિતે છરીના ૧૨ જેટલા ઘા આડેધડ પેટ-છાતી-પડખામાં ઝીંકી દઇ ક્રુરતાથી રહેંસી નાંખતા દોડધામ થઇ ગઇ હતી. ૭ થી ૮ ગુનામાં અગાઉ સંડોવાઇ ચુકેલા પાર્થરાજસિંહ ઉર્ફ ગટીયાને ૩૧મી ડિસેમ્બરે ધર્મેન્દ્રસિંહ સાથે ઝઘડો થયો હતો અને તેનું સમાધાન થઇ ગયું હતું. એ પછી ધર્મેન્દ્રસિંહની દિકરા જયદિપસિંહ સાથે આજથી બે મહિના પહેલા ઝઘડો થયો હતો. ત્યારથી સતત બંને એક બીજાની શેરીમાં જઇ એક બીજાને ધમકીઓ આપતાં હતાં. હોળીની સાંજે ગટીયાએ ધર્મેન્દ્રસિંહના ઘરે જઇ તેના દિકરાને ધમકી આપી હતી ત્યારે ધર્મેન્દ્રસિંહ ઘરે ન હોઇ તેની સાથે ફોનમાં વાત કરી જોઇ લેવાની ધમકી આપી હતી. થોડી વાર રહી બીજી વખત તે સામેથી આવ્યો હતો અને ધર્મેન્દ્રસિંહ સહિતનાએ તૂટી પડી પતાવી દીધાનું બહાર આવ્યું છે. છેડતી મામલે હત્યા થયાની વાતો સોશિયલ મિડીયામાં વહેતી થઇ હતી. પરંતુ પોલીસ તપાસમાં કે ફરિયાદમાં આવી કોઇ બાબતનો ઉલ્લેખ નથી. હત્યારા હાથવેંતમાં હોઇ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ગેડમની રાહબરીમાં પી.આઇ. વી.એસ. વણઝારા, પીએસઆઇ ડામોર, પીએસઆઇ ગઢવી, હર્ષદસિંહ ચુડાસમા, પ્રવિણભાઇ, ભાવેશભાઇ, નગીનભાઇ, હિરેનભાઇ સહિતની ટીમ વધુ તપાસ કરે છે.

 

(1:28 pm IST)