કાળીપાટ પાસે ટ્રીપલ અકસ્માતઃ બે મોત
મીની બસ, અલ્ટો કાર અને સાન્ટ્રો કાર અથડાયાઃ બસ ડિવાઇડર પર ચડી જઇ ઉંધી વળી ગઇઃ બસમાં બેઠેલા બે યુવાને દમ તો્ડયો મૃત્યુ પામનાર પૈકી એક યુવાન ઉમરાળીના મનોજભાઇ પ્રભાતભાઇ જળુ (આહિર) હોવાનું ખુલ્યું છેઃ બે માસ પહેલા જ લગ્ન થયા હતાં: પરિવારમાં કલ્પાંત: મૃતક બીજો યુવક વાંકાનેરના અનિરૂધ્ધ ગોવિંદભાઇ ચાવડા (દલીત) હોવાનું ખુલ્યું
તસ્વીરમાં બૂકડો થઇ ગયેલા ત્રણેય વાહનો અને બે યુવાનના મૃતદેહ જોઇ શકાય છે
રાજકોટ તા. ૨૧: રાજકોટ-ભાવનગર હાઇવે પર બપોરે મીની બસ અને બે કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા બસ રોડ ડિવાઇડર પર ચડી ઉંધી વળી જતાં બે યુવાનના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. જ્યારે પાંચ-છ લોકોને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ રાજકોટથી જસદણ તરફ જઇ રહેલી મીની (ટૂકડો) બસ નં. જીજે૩વાય-૭૭૪ અને સાન્ટ્રો કાર જીજે૩ડીજી-૧૦૨૬ તથા જીજે૩જેએલ-૬૮૧૮ વચ્ચે અકસ્માત સર્જાતા મીની બસ રોડ ડિવાઇડર પર ચડી જઇ ઉંધી વળી જતાં દેકારો બોલી ગયો હતો. બસમાં બેઠેલા પૈકી બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. રાઠવા, પંકજભાઇ દિક્ષીત, વિપુલભાઇ રબારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામનાર બંને યુવાન વયના છે. ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતમાં બસ અને બંને કારમાં ભારે નુકસાન થયું છે. કારમાં બેઠેલાઓનો ચમત્કારીક બચાવ થયાનું ઘટના સ્થળે હાજર જી.એન. જાદવ, જીજ્ઞેશ પ્રજાપતિએ જણાવ્યું હતું. આટકોટના પ્રતિનિધિ વિજય વસાણીના જણાવ્યા મુજબ ૧૦૮ની ટીમે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડયા હતાં.
ઘાયલોમાં હાર્દિક ગોસ્વામી (ઉ.૨૬-રહે. રણુજા), રાહુલ સવાભાઇ કલોતરા રહે. બળધોઇ), વિજય ચનાભાઇ (ઉ.૨૫-રહે. બળધોઇ), જીજ્ઞાબેન વિજયભાઇ (ઉ.૨૪) અને રેખાબેન ભવાનભાઇ (ઉ.૩૦-રહે. નવાગામ)નો સમાવેશ થાય છે. એક મૃતકોની ઓળખ મેળવવા પોલીસ તપાસ કરી રહી છે. (૧૪.૧૨)