રાજકોટ
News of Wednesday, 21st March 2018

સ્માર્ટ સીટી કેમ બનાવવું? સલાહ દેવા માત્ર એક એજન્સી તૈયારઃ ફરી ટેન્ડર મંગાવાશે

'પ્લાનિંગ એન્ડ પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ'ની નિમણૂંકની પ્રક્રિયામાં તંદુરસ્ત સ્પર્ધા અને પારદર્શિતા માટે નિર્ણય લેવાયાની બંછાનિધી પાનીની જાહેરાત

રાજકોટ તા. ૨૧ : કોર્પોરેશન દ્વારા પારદર્શકતા જાળવવા માટે સ્માર્ટ સિટી પ્રોજેકટ અનુસંધાને આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનારી વિવિધ યોજનાઓ અને પ્રોજેકટ માટે એક 'પ્લાનિંગ એન્ડ પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ' નિયુકત કરવા માટે રિટેન્ડરીંગની પ્રક્રિયા કરવામાં આવનાર છે તેમ આજે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જાહેર કર્યું હતું.

આ ઉપરાંત મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ ઉમેર્યું હતું કે, ભારત સરકાર દ્વારા સ્માર્ટ સીટીમાં રાજકોટ શહેરની પસંદગી થયા બાદ સ્માર્ટ સીટી પ્રોજેકટ અમલમાં મુકી શકાય તે માટે રચાયેલ Special Purpose Vehicle (SPV) રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.(RSCDL)ના નેતૃત્વ હેઠળ સ્માર્ટ સીટી અંતર્ગતના તમામ પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવનાર છે. આ માટે એક 'પ્લાનિંગ એન્ડ પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટેની પણ ખાસ આવશ્યકતા રહે છે અને તેની નિમણુંકની પ્રક્રિયા સ્પર્ધાત્મક અને પારદર્શક બની રહે તે પણ એટલું જ જરૂરી બની રહે છે. આ કારણસર જ 'પ્લાનિંગ એન્ડ પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ'ની નિમણુંક માટે રિટેન્ડરીંગની પ્રક્રિયા ફરી હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે.'

તેમણે વિશેષમાં કહ્યું કે, આ કન્સલ્ટન્ટની નિમણુંક માટે પ્રથમ વાર ટેન્ડર પ્રક્રિયા કરાઈ ત્યારે એક ટેન્ડર રજુ થયું હતું જેના પગલે બીજી વખત ટેન્ડર નોટીસ ઇસ્યુ કરતા ૪ ટેન્ડર એપ્લિકેશન આવી હતી, પરંતુ અરજકર્તામાં યોગ્યતાના અભાવને કારણે એ પ્રક્રિયા પણ રદ કરવામાં આવી હતી. આ પછી ત્રીજી વખત ટેન્ડર મંગાવવામાં આવ્યા હતાં પરંતુ માત્ર એક જ ટેન્ડર એપ્લિકેશન રજુ થતા એ ટેન્ડર પ્રક્રિયા પણ રદ કરવાની વહીવટી તંત્રને ફરજ પડી હતી. હવે ચોથી વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તંત્ર ઈચ્છે છે કે આ પ્રક્રિયામાં તંદુરસ્ત સ્પર્ધા થાય અને વહીવટી તંત્રને તેનો લાભ મળી શકે.

મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ વધુમાં જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી મિશનમાં પસંદગી પામેલા જે તે શહેરમાં હાથ ધરવામાં આવનારા વિવિધ પ્રોજેકટમાં માત્ર મહાનગરપાલિકા જ નહી પરંતુ એ શહેરની અન્ય સરકારી એજન્સીઓ (કચેરીઓ) પણ સીધી યા આડકતરીરીતે સંકળાયેલી હોય જ છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિયુકત થનાર 'પ્લાનિંગ એન્ડ પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ' સાથે રાજકોટ સ્થિત અન્ય સરકારી એજન્સીઓ પણ કાર્ય કરી શકશે અને તેમાં તેઓનો પરામર્શ કરી શકશે, અર્થાત આ કન્સલ્ટન્ટ અન્ય સરકારી કચેરીઓને પણ મદદરૂપ થઇ શકશે.

(3:10 pm IST)