રાજકોટ
News of Wednesday, 7th April 2021

નારાયણનગરમાંથી બે દિવસ પહેલા ગૂમ થયેલી પરિણિતાની ખાણમાંથી લાશ મળી

દૂધ લેવા જવા નીકળ્યા બાદ ગાયબ થતાં ભકિતનગર પોલીસમાં ગૂમની જાણ કરાઇ હતી

રાજકોટ તા. ૭: ઢેબર રોડ પર અટિકા પાસે નારાયણનગરમાં રહેતી ગજરાબેન કિશન સલાટ (ઉ.વ.૨૨) બે દિવસ પહેલા ઘરેથી દૂધ લેવા નીકળ્યા બાદ ગૂમ થઇ ગઇ હતી. તેની આજે કિસાન ગોૈશાળા નજીક આજીડેમ પાસેની ખાણમાંથી લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. બનાવ આપઘાતનો છે કે અન્ય કોઇ રીતે મોત થયું? તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

કિસાન ગોૈશાળા નજીક ખાણમાં એક યુવતિની લાશ તરતી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને મૃતદેહ બહાર કાઢ્યો હતો. આજીડેમ પોલીસને જાણ થતાં હેડકોન્સ. જી. એન. વાઘેલા અને જનકસિંહ સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર યુવતિની ઓળખ મેળવવા તપાસ થતાં તેણી નારાયણનગરમાંથી બે દિવસ પહેલા ગૂમ થયેલી ગજરાબેન હોવાનું ખુલતાં તેના પરિવારજનોને જાણ કરાઇ હતી.

તેણીને સંતાનમાં બે પુત્રી છે. માવતર મધ્યપ્રદેશ રહે છે. પતિ છુટક મજૂરી કરે છે. બનાવ આપઘાતનો છે કે અન્ય કંઇ તે અંગે તપાસ યથાવત રખાઇ છે. લાશ ફુલાઇ ગઇ હોઇ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું છે.

(3:40 pm IST)