કોઠારીયા રોડ ઉપર બાવાજી શખ્સની હત્યાના ગુનામાં પકડાયેલ આહીર શખ્સના જામીન મંજુર
રાજકોટ,તા.૨૨: કોઠારીયા રોડ ઉપર બાવાજીના ખુનના ગુન્હામાં આહીર શખ્સનો જામીન ઉપર છુટકારો કોર્ટ ફરમાવેલ છે.
રાજકોટમાં રહેતા સુરેશ નારણભાઇ ગૌસ્વામીએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં તેઓના દિકરા રાહુલ તેઓના મિત્રો દિવ્યરાજ ઉર્ફે દેવુ શકિતસિંહ જાડેજા, દેવેન્દ્ર ઉર્ફે દેવો શકિતસિંહ જાડેજા, દિવ્યેશ રાજુભાઇ લાવડીયા તથા વિમલ ઉર્ફે જયરાજ કાળુભાઇ મંડ સાથે હરીદર્શન મોલ પાસે બેઠા હતા. ત્યારે જયુ આહીર અને દિવ્યરાજસિંહ જાડેજા બોલાચાલી થયેલ અને ત્યારે આ આરોપછઓએ ગુજરનાર રાહુલને ઢીકાપાટુંનો માર મારેલ અને દીવ્યરાજસિંહએ નેફામાંથી છરી કાઢી જયરાજ ઉર્ફે જયુ મંડને આપેલ અને બાકીના ત્રણેય જણાએ વિમલને પકડી રાખેલ અને જયુ મંડએ છરીએ ઘા રાહુલને મારેલ હતા. આ બનાવની જાણ ફરીયાદીને નજરે જોનાર સાહેદ પ્રતિપાલસિંહ જાડેજાએ જાણ કરતા તેઓ સીવીલ હોસ્પિટલે પહોંચેલ અને ત્યાં તેના પુત્રનું મોત નિપજ્યાનું તેઓને જાણ થતા તેઓએ તાત્કાલીક આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ સ્ટેશના જવાબદાર અધિકારીએ આઇ.પી.સી. કલમ ૩૦૨, ૫૦૪, ૧૧૪નો ગુન્હો નોંધેલ.
ઉપરોકત આરોપીઓ પૈકી દિવ્યેશ રાજુભાઇ લાવડીયાએ સેશન્સ અદાલતમાં જામીન અરજી કરેલ હતી અને બચાવ પક્ષે શ્રી ભગીરથસિંહ ડોડીયાએ એવી રજુઆત કરેલ હતી કે આ કામમાં આરોપી દિવ્યેશ રાજુભાઇ લાવડીયાએ ગુજરનારને કોઇ હથિયારથી ઇજા કરેલ નથી. સહઆરોપી દેવેન્દ્રસિંહને કોર્ટે જામીન ઉપર છોડેલ છે. તેથી સમાનતાના સિધ્ધાંતો ધ્યાને લઇ જામીન ઉપર છોડવા દલીલો કરેલ હતી. તથા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓ રજુ રાખેલ હતા અને આરોપી નાની ઉંમરનો હોય જામીન ઉપર મુકત કરવા રજુઆતો કરેલ હતી.
ઉપરોકત સંજોગોમાં પ્રિન્સી. સેશન્સ જજ શ્રીએ આરોપીના એડવોકેટ શ્રી ભગીરથસિંહ ડોડીયાની રજુઆતો, રજુ થયેલ ચુકાદાઓ અને પોલીસ તપાસના કાગળો અને કાયદાકીય પરિસ્થિતી ધ્યાને લઇ આરોપી દિવ્યેશ રાજુભાઇ લાવડીયાને રૂ.૨૫,૦૦૦ના શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.
આ કામમાં રાજકોટના યુવા એડવોકેટશ્રી ભગીરથસિંહ ડોડીયા, યુવરાજસિંહ જાડેજા, હેમાશું પારેખ, કિરીટ નકુમ, ઇન્દ્રસિંહ ઝાલા, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, ખોડુભા સાકરીયા એડવોકેટ તરીકે રોકાયેલ હતા.