વોર્ડ નં. ૧૩ના સીવીક સેન્ટરમાં ૧૦ દિ'માં લાઇબ્રેરી શરૂ કરો નહિં તો ધરણા
વોર્ડ નં. ૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર દ્વારા મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલને રજૂઆત
રાજકટ તા. ૧૩: શહેરનાં વોર્ડ નં. ૧૩ માં આવેલ ગુરૂપ્રસાદ ચોક વિસ્તાર મ્યુ. કોર્પોરેશનનાં સિવિક સેન્ટરમાં લાયબ્રેરી શરૂ કરવા વોર્ડ નં. ૧૩નાં કોંગી કોર્પોરેટર દ્વારા રજુઆત કરવામાં આવી છે. આ પ્રશ્નનો ઉકેલ ૧૦ દિ' માં નહિં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ પ્રશ્ને તાકિદે યોગ્ય કરવા મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલને રજુઆત કરી છે.
આ અંગે કોંગી કોર્પોરેટર જાગૃતીબેનએ મ્યુ. કમિશ્નરને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે , વોર્ડ નં. ૧૩માં આવેલ સીવીક સેન્ટરમાં લાઇબ્રેરી ફાળવવામાં આવેલ પણ આજદીન સુધી લાઇબ્રેરી ચાલુ કરવામાં આવેલ નથી અને આવાસની ઓફીસ કાર્યરત છે. આ અંગે અનેક વખતથી રજુઆત કરવામાં આવી હતી.
વધુમાં જાગૃતીબેને જણાવ્યું હતું કે, વહેલી તકે લાઇબ્રેરી ચાલુ કરવામાં નહીં આવે તો મનપામાં ધરણા ઉપર બેસવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.