કુવાડવાના મધરવાડા પાસે સ્કોર્પીયોએ બાઇકને ઉલાળતા રૂપાવટીના વીરજીભાઇનું મોત : મિત્રને ઇજા
બંને મિત્રો જામનગર બીયારણના પૈસા આપીને પરત જતી વખતે બનાવ : મિત્ર બાબુભાઇ સારવાર હેઠળ
રાજકોટ, તા. ૧૩ : કુવાડવા રોડ પર મધરવાડા ગામ પાસે બાઇક પર જઇ રહેલા ચોટીલાના રૂપાવટી ગામના બે મિત્રોને સ્કોર્પીયો ચાલકે હડફેટે લેતા કોળી યુવાનનું મોત નિપજયું હતું. જયારે મિત્રે ઇજા થતા તેને સારવાર માટે ખસેડાયા છે.
મળતી વિગત મુજબ ચોટીલાના રૂપાવટી ગામમાં રહેતા બાબુભાઇ કરશનભાઇ વાઘાણી (ઉ.વ.પ૦) ગઇકાલે ગામમાં જ રહેતા મિત્ર વીરજીભાઇ કરશનભાઇ બાવળીયા (ઉ.વ.૪૪)ના જીજે-૩-ઇપી-૪૦૪૩ નંબરના મોટર સાયકલ લઇને જામનગર ગામે બીયારણના પૈસા આપવા માટે ગયા હતા. બાદ પૈસા આપીને બંને પરત આવતા હતાં ત્યારે મધરવાડાથી સરધાર જવાના રસ્તે પહોંચતા એક સ્કોર્પીયોના ચાલકે પૂરઝડપે આવી બાઇકને ઉલાળતા બંને ફંગોળાઇ ગયા હતા.
અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા, જેમાં બાબુભાઇ વાઘાણીને હાથે-પગે તથા શરીરે ઇજા થઇ હતી તથા મિત્ર વીરજીભાઇને બંને પગે તથા શરીરે ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત થયા બાદ સ્કોર્પીયો ચાલક થોડીવાર ઉભો રહ્યો હતો માણસો ભેગા થતા તે ભાગી ગયો હતો. દરમ્યાન કોઇએ સ્કોર્પીયોના જીજે-૩-જેસી-૩ર૬૦ નંબર લખેલી ચીઠ્ઠી બાબુભાઇ વાઘાણીને આપી હતી અને જાણ કરતા ૧૦૮ના તબીબે વીરજીભાઇ બાવળીયાનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કર્યું હતું અને મિત્ર બાબુભાઇને સારવાર માટે કુવાડવા સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે બાબુભાઇ વાઘાણીની ફરીયાદ પરથી સ્કોર્પીયો ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી પીએસઆઇ આર.પી. મેઘવાળે તપાસ હાથ ધરી છે.