રાજકોટ
News of Tuesday, 3rd December 2019

કેળવણીકાર - સાહિત્યકાર મહિપતરામ રૂપરામ નિલકંઠ

દરિયો ઓળંગવા સબબ ૧૨ વર્ષ જ્ઞાતિ બહાર મૂકવામાં આવેલ

મહીપતરામ રૂપરામ નીલકંઠનો જન્મ ૩ ડિસેમ્બર ૧૮૨૯ના રોજ સુરત ખાતે વડનગરા નાગર બ્રાભણ કુટુંબમાં રૂપરામ નીલકંઠ અને ગિરજાગૌરીને ત્યાં થયો હતો. તેઓ દોઢ વર્ષના હતા ત્યારે તેમની માતાનું નિધન થયું હતું. જયારે તેઓ ચાર વર્ષના હતા ત્યારે તેમનું સગપણ ત્રણ વર્ષની કન્યા પાર્વતીકુંવર સાથે થયું. તેમણે પ્રાથમિક શિક્ષણ સ્થાનિક 'ગામઠી શાળા'માં ગોપીપુરા, સુરતમાં પૂર્ણ કર્યું જે પ્રાણરાંકર મહેતાની શાળા તરીકે ઓળખાતી હતી.

પાછળથી તેઓ સરકારી અંગ્રેજી માધ્યમની શાળામાં દાખલ થયા. તેમના શાળા જીવન દરમિયાન તેઓ તેમના શિક્ષકો અને સુધારકો દુર્ગારામ મહેતા અને દાડોબા પાંડુરંગ, જેઓ પ્રાર્થના સમાજના સ્થાપક આત્મારામ પાંડુરંગના ભાઈ હતા, વગેરેથી પ્રભાવિત થયા હતા. તેમણે તેમના દ્વારા ચલાવવામાં આવતી માનવ ધર્મ સભાની સાપ્તાહિક બેઠકોમાં પણ હાજરી આપી હતી. પાછળથી તેઓ તેમની માતૃસંસ્થા સાથે ૧૮૫૧માં મદદનીશ શિક્ષક તરીકે જોડાયા. ૧૮૫૨માં તેઓ એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુટ, બોમ્બેના માધ્યામેક શિક્ષણ વિભાગમાં જોડાયા અને ૧૮૫૪માં મદદનીશ શિક્ષક તરીકેનો હોદ્દો મેળવ્યો. તેઓ સુધારાવાદી સંસ્થાઓ; જ્ઞાન પ્રસારક સભા અને બુદ્ઘિવર્ધક સભા, મુંબઈ સાથે સંકળાયેલા હતા.

૧૮૫૭માં તેમની નિમણૂક કાર્યકારી આચાર્ય તરીકે અમદાવાદ હાઇસ્કૂલ ખાતે થઈ અને પછીથી તેઓ નાયબ શિક્ષણ નિરીક્ષક તરીકે નિમણૂક પામ્યા. ૧૮૫૯માં તેમની નિમણૂક 'હોપ વાચનમાળા'  સમિતિમાં શાળા પાઠ્યપુસ્તક સમિતિના સભ્ય તરીકે કરવામાં આવી હતી.

તેમને ૨૭ માર્ચ ૧૮૬૦ના રોજ કોલેજના શિક્ષણનો અભ્યાસ કરવા માટે ઈંગ્લેન્ડ મોકલવામાં આવ્યા હતા. ૧૩ એપ્રિલ ૧૮૬૦ના રોજ ઇંગ્લેન્ડથી પરત આવ્યા પછી તેમણે તેમની નિવૃતિ સુધી પી. આર. ટ્રેનીંગ કોલેજ અમદાવાદના પ્રિન્સીપાલ તરીકે સેવા આપી હતી. દરીયો ઓળંગવા માટે નાગર બ્રાહ્મણો દ્વારા તેમને બાર વર્ષ સુધી નાત બહાર મૂકવામાં આવ્યા હતા. તેમને તેમના પિતાની અંતિમવિધિ પણ કરવા ન દેવાઈ હતી અને તેઓ સમાધાન કરીને અનેક વિધિઓ કરીને ફરીથી સમાજમાં જોડાયા હતા.

૧૮૫૦માં તેમણે પરહેજદાર સામયિકનું સંપાદન કર્યુ હતું અને શૈક્ષણિક માસિક ગુજરાત શાળા પત્ર (૧૮૬૨ ૭૮, ૧૮૮૭૯૧)નું પણ સંપાદન કાર્ય કર્યુ હતું.૧૮૫૭માં દસ મહિના માટે તેમણે સુધારાવાદી સાપ્તાહિક સત્ય પ્રકાશનું સંપાદન કાર્ય સંભાળ્યુ હતું. ૧૮૫૫માં તેમને રાવ સાહેબ અને કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઈન્ડિયન એમ્પાયર (સીઆઈઈ) ખિતાબ બ્રિટીશ સરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ અમદાવાદ પ્રાર્થના સમાજ અને ગુજરાત વર્નાકયુલર સોસાયટી તેમજ અન્ય ઘણી સુધારાવાદી સંસ્થાઓ જે વિધવા પુનઃલગ્ન, બાળલગ્ન પ્રતિબંધ વગેરેમાં કામ કરતી હતી તેમની સાથે સંકળાયેલા હતા. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને ચેરમેન પણ રહ્યા હતા.

તેઓ ૩૦ મે ૧૮૯૧ના રોજ અમદાવાદમાં અવસાન પામ્યા. તેમના પત્નિ પાર્વતીકુંવરે તેમને સામાજીક અને સુધારણા પ્રવૃતિઓમાં સાથ આપ્યો હતો. તેમના પુત્ર રમણભાઈ નિલકંઠ પણ લેખક હતા અને અમદાવાદના મેયર પદે રહ્યા હતા. ૧૭ ડિસેમ્બર ૧૮૯૨ના મહીપતરામ રૂપરામ આશ્રમ નામના અનાથાશ્રમની સ્થાપના રાયપુર, અમદાવાદમાં તેમની યાદમાં કરવામાં આવી હતી જે હવે ભારતના સૌથી જૂના અને સૌથી મોટા અનાથાશ્રમોમાંનો એક છે.

મહિપતરામ રૂપરામ નિલકંઠ ગુજરાતી કેેળવણીકાર, સુધારક, નવલકથાકાર અને ચરિત્રકાર હતા.

પુરૂ નામ : મહિપતરામ રૂપરામ નિલકંઠ, જન્મ : ૩ ડિસેમ્બર ૧૮૨૯, સુરત., રાષ્ટ્રીયતા : ભારતીય, કાર્યક્ષેત્ર : સર્જક સમાજ સુધારક, ચરિત્રકાર, નવલકથાકાર, શિક્ષણવિદ્દ, પુરસ્કાર : કમ્પેનીયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઈન્ડિયન એમ્પાયર ૧૮૫૫માં બ્રિટીશ સરકાર દ્વારા, મૃત્યુ : ૩૦ મે ૧૮૯૧ અમદાવાદ, વિશેષ : રાયપુર, અમદાવાદમાં ૧૮૯૨માં મહિપતરામ રૂપરામ આશ્રમની સ્થાપના.

(3:42 pm IST)