રણુજા પુલ પાસે રીક્ષામાં સંજયગીરી ગોસ્વામીને ભરત ગઢવીએ છરી ઝીંકી
'કામ ઉતારવા જવુ છે રીક્ષા લઇ લે' કહેતા બાવાજી યુવાને ના પાડતા ગઢવી શખ્સ ઉશ્કેરાયો
રાજકોટ તા.૯: રણુજા મંદિર નજીક પુલ પાસે ગઢવી શખ્સે દોડીને રીક્ષામાં બેસી 'કામ ઉતારવા જવુ છે' કહેતા બાવાજી યુવાને ના પાડતા તેણે ઉશ્કેરાઇ છરી વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ શહેરના હુડકો ચોકડી પાસે આશાપુરા સોસાયટી શેરી નં.૧માં રહેતો રિક્ષા ચાલક સંજયગીરી ચમનગીરી ગોસ્વામી (ઉ.વ.૨૪) રાત્રે પત્ની હિના સાથે રીક્ષામાં વાજડી મિત્રને રીક્ષા આપવા માટે જતો હતો. ત્યારે રણુજા મંદીર નજીક પુલ પાસે પહોંચતા મિત્ર ભરત ભીમદાન ગઢવી તેની રીક્ષામાં દોડીને ચડી ગયો હતો. અને 'કામ ઉતારવા જવુ છે' રીક્ષા લઇ લે' તેમ કહેતા સંજયગીરીએ ના પાડતા તે એક દમ ઉશ્કેરાઇને ઝઘડો કરી ગાળો આપી છરી વડે હુમલો કરી ભાગી ગયો હતો. સંજયગીરીને બંને હાથમાં ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ સી.એચ.આસુન્દ્રાએ સંજયગીરીની ફરિયાદ પરથી ભરત ગઢવી વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.