રીબડા-રીબ વચ્ચે કાર પલ્ટી જતાં રીબડાના મહેન્દ્રસિંહ જાડેજાનું મોત
દાડેશ્વર મંદિરે દર્શન કરી પરત આવતી વખતે બનાવઃ રાજકોટમાં દમ તોડ્યોઃ સાથેના ભાણેજવહૂને ઇજાઃ ધર્મપત્નિનો બચાવ
રાજકોટ તા. ૧૪: રીબડા અને રીબ વચ્ચે કાર પલ્ટી ખાઇ જતાં રીબડાના ક્ષત્રિય વૃધ્ધનું મોત નિપજ્યું હતું. જ્યારે સાથે બેઠેલા ભાણેજવહૂને ઇજા થઇ હતી અને ધર્મપત્નિનો બચાવ થયો હતો.
જાણવા મળ્યા મુજબ રીબડા રહેતાં મહેન્દ્રસિંહ દિલુભા જાડેજા (ઉ.૬૫) અને તેમના પત્નિ તથા ભાણેજવહૂને કારમાં બેસાડી દાડેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતાં. દરમિયાન રીબડા અને રીબ વચ્ચે કાર પલ્ટી ખાઇ જતાં મહેન્દ્રસિંહ જાડેજાને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. સાથે બેઠેલા ધર્મપત્નિનો બચાવ થયો હતો અને ભાણેજવહૂને ઇજા થઇ હતી.
મહેન્દ્રસિંહ જાડેજા નિવૃત જીવન વ્યતીત કરતાં હતાં. બનાવને પગલે સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.