રાજકોટ
News of Friday, 12th July 2019

જળ વ્યવસ્થાપનમાં ધ્યાન નહીં દઇએ તો પાણી મેળવવું પડકારરૂપ બની જશે!

સંયુકત રાષ્ટ્ર સંઘના અનુમાન મુજબ ૨૦૩૦ સુધીમાં પાણીની માંગ ૪૦ ટકા સુધી વધી જશે

સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા રર માર્ચ ૨૦૧૮ ના વિશ્વ જળ દિવસથી દસ વર્ષની એક ઝુંબેશની શરૂઆત કરી છે. આ ઝુંબેશનું લક્ષ્યાંક દુષ્કાળ, પુર અને પાણી સાથે જોડાયેલ અન્ય જોખમો વિષે લોકોને માહીતગાર કરવાનું છે. સંયુકત રાષ્ટ્ર સંઘના અનુમાન મુજબ ઇ.સ. ૨૦૩૦ સુધીમાં પાણીની માંગમાં ૪૦ ટકા સુધીનો વધારો થઇ શકે છે. આથી આગામી સમયમાં જો પાણીનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં નહીં આવે તો મોટી મુશ્કેલી સર્જાશે.

વર્લ્ડ બેન્કના પોતાના અહેવાલોમાં જણાવાયુ છે કે ભારતમાં પાણીનો વપરાશ કરવાની પોતાની આદતો બદલાશે નહીં તો આગામી બે દાયકામાં ભારત પાસે પાણીનો વહીવટ કરવા માટેના રૂપિયા નહી હોય અને લોકોની તરસ છીપાવવા માટે પાણી પણ નહી હોય. જો આવી મુશ્કેલીઓથી બચવુ હોય તો ભારતના લોકોએ વોટર મેનેજમેન્ટ પર ધ્યાન આપવુ જ પડશે. ચોમાસામાં વરસાદના સ્વરૂપે આવતુ પાણી મોટાભાગે નદીઓ મારફતે દરીયામાં ચાલ્યુ જાય છે. ત્યારે જળ સંગ્રહ શકિત વધારવી જરૂરી બની છે. વર્તમાન આધુનીક ટેકનોલોજીનો ઉપયોગ કરી જળ વ્યવસ્થાપન વધુ મજબુત બનાવવુ પડશે. જળ વ્યવસ્થાપન એવું હોવુ જોઇએ કે વર્તમાન પેઢીને તો પાણી મળી રહે સાથો સાથ આવનારી પેઢીની પાણીની જરૂરીયાતને પણ પહોંચી વળાય.

કુદરત તરફથી આપણી જરૂરીયાત કરતા વધુ પાણી વરસાદ મારફતે મળે છે. પણ આવશ્યક મેનેજમેન્ટના અભાવે ચોમાસુ પુરૂ થાય એટલે તુરંત પાણીની તંગી મો ફાડીને ઉભી થઇ જાય છે. ખેતીની વાત તો બાજુએ રહી, પીવાનું પાણી મેળવવુ પણ મુશ્કેલ બની જાય છે. આવુ ન થવા દેવુ હોય તો પાણીનો બગાડ અટકાવો અને વ્યવસ્થિત રીતે જળ સંગ્રહ, જળ સંચય કરતા શીખી લ્યો.

માનવ રકત કોઇ પ્રયોગશાળામાં બનતુ નથી. એટલે એ કયારેય કોઇના શરીરમાંથી વહી જતુ હોય તો તેને અટકાવવા ગંભીરતાથી પ્રયાસ થાય છે. બસ આમ જ રીતે પાણી પણ કોઇ ફેકટરીમાં બનતુ નથી તે વાત બરાબર સમજી લઇ તેનો ખોટો વેડફાટ થતો અટકાવવો જોઇએ.

જળ સંગ્રહ માટેનો સૌથી સારો માર્ગ નદી પર આડબંધો બાંધવાનો છે. મોટા બંધ બાંધવા માટે મુડીરોકાણ, જમીન સંપાદન, પર્યાવરણને લગતા પ્રશ્નો સર્જાઇ શકે. પરંતુ આડબંધો માટે આવી મુશ્કેલીઓ નડતી નથી. એજ રીતે રહેણાક મકાનો, બહુમાળી ઇમારતો, સરકારી બીલ્ડીંગો, ઔદ્યોગિક એકમો, છાપરા કે અગાસીઓનું પાણી સંગ્રહીત કરવા વિશાળ ભો ટાંકા બનાવવા જોઇએ. કુવા અને બોર દ્વારા વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારવુ જોઇએ.  

ખેતીમાં પણ સિંચાઇ માટે ધોરીયા પધ્ધતિ કે રેળ પધ્ધતિ છે તેના બદલે ટપક પધ્ધતિ અપનાવીએ તો સુદ્રઢ જળવ્યવસ્થાપન થઇ શકે.

- વિનોદ એ. પાનેલીયા

એડવોકેટ મો.૯૪૨૭૨ ૨૧૧૪૬

(11:44 am IST)