ચાર વોર્ડમાં પાણીના ધાંધીયાઃ દેકારો
પુનિતનગરના ટાંકાનું લેવલ ઘટતા વોર્ડ નં. ૮-૧૦-૧૧-૧રના વિવિધ વિસ્તારોમાં ર થી ૪ કલાક મોડુ પાણી વિતરણ
રાજકોટ, તા., ૧૫: શહેરમાં ઉનાળાનો આકરો તાપ પડી રહયો છે. ત્યારે પાણીની જરૂરીયાત વધે છે. આ સંજોગોમાં આજે વોર્ડ નં. ૮,૧૦,૧૧, ૧રના વિવિધ વિસ્તારોમાં ર થી ૩ કલાક મોડુ પાણી વિતરણ થતા લોકોમાં દેકારો બોલી ગયો હતો.
આ અંગેની પ્રાપ્ત માહીતી મુજબ પુનીતનગર વિસ્તારમાં આવેલા પાણીના ટાંકાનું લેવલ ઘટતા વોર્ડ નં. ૮, ૧૦,૧૧, ૧રનાં જલજીત સોસાયટી, દ્વારકાધીશ, સાંઇધામ, વૃંદાવન, અક્ષરધામ, કડીયાનગર સહીતની ૪૦ થી વધુ સોસાયટમાં ર થી ૩ કલાક પાણી વિતરણ મોડુ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં પાણી મોડું થતા ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો હતો. તેમજ ઓછા ફોર્સથી પાણી વિતરણની ફરીયાદો ઉઠવા પામી હતી.
આ અંગે મ્યુનીસીપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીના જણાવ્યા મુજબ પુનીતનગર વિસ્તારના ટાંકામાંથી ઉપરોકત વોર્ડમાં કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવે છે. પરંતુ આજે સવારે એકાએક ૧ પંમ્પ બંધ પડી જતા પાણીનું લેવલ ડાઉન થતા ચાર વોર્ડનાં કેટલાક વિસ્તારોમાં નિયમીત સમય કરતા ર થી ૩ કલાક મોડુ પાણી વિતરણ થયું હતું.